મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત આવતીકાલે પુરી - રાજયપાલ પાસે છે 4 વિકલ્પ

મહારાષ્ટ્ર વિધાનસભાની મુદત આવતીકાલે પુરી - રાજયપાલ પાસે છે 4 વિકલ્પ

મહારાષ્ટ્રમાં સરકાર રાચવાને ભાજપ અને શિવસેના વચ્ચે ભારે ખેંચતાણ બાદ હજુ સુધી કોઈ અંત આવતો દેખાતો નથી. જેના કારણે નવી સરકારને લઇને અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. તા 9 ના શનિવારે હાલની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેવામાં હવે સવાલ એ છે કે જો ભાજપ અને તેના સહયોગી શિવસેના વચ્ચેના મતભેદ ઉકેલાશે નહીં તો આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં શું થશે ?
તા 9 પહેલા મહારાષ્ટ્રમાં સરકાર ન રચાય તો રાજયપાલ બી.એસ. કોશ્યારી પાસે કયા વિકલ્પ બાકી રહેશે અને બંધારણની જોગવાઈ મુજબ કયા પગલા ભરવામાં આવી શકે છે. આ અંગે બંધારણના નિષ્ણાંતએ જણાવ્યું કે આવી સ્થિતિમાં રાજયપાલ પાસે 4 વિકલ્પ બાકી રહેશે.
1, જયાં સુધી નવા CM શપથ ગ્રહણ નથી કરતા ત્યાં સુધી રાજયપાલ હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે કામ કરવા માટે કહી શકે છે. જરુરી નથી કે મુખ્યમંત્રીનો કાર્યકાળ વિધાનસભા પૂર્ણ થતા પૂરો થઈ જાય.
2, રાજયપાલ ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલ રાજકીય પાર્ટીના નેતાને CM તરીકે નિયુકત કરી શકે છે. જેથી આ નવા CMએ સદનમાં નિશ્યિત દિવસોની અંદર બહુમત સાબિત કરવો પડી શકે છે. પછી ભલે ફલોર ટેસ્ટમાં તે ફેલ થઈ જાય.
3, રાજયપાલ ધારસભ્યોને વિધાનસભાના ફલોર પર પોતાના નેતાની વરણી કરવા માટે કહી શકે છે. જો કોઈ વિવાદ થાય તો તેના માટે બેલેટ પેપર્સનો ઉપયોગ પણ કરી શકાય છે.
મહત્વનું એ છે કે 1998 માં સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશ વિધાનસભાના નવા CM જગદંબિકા પાલ અને દૂર કરવામાં આવેલ CM કલ્યાણ સિંહ વચ્ચે નિર્ણય લેવા માટે આ રીતે વોટિંગ કરવા જણાવ્યું હતું.
4, જો કોઈપણ પક્ષ સરકાર રચવા માટે પૂરતું સંખ્યાબળ સાબિત કરી શકે નહીં અને પહેલા ત્રણેય વિકલ્પ નિષ્ફળ જશે તો રાજયની સુચારુ વ્યવસ્થા માટે રાજયપાલ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી શકે છે.  
288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપને 105, શિવેસેનાને 56, NCP 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી છે. આ સ્થિતિમાં કોઈપણ પક્ષ એકલા હાથે સરકાર રચવા સમર્થ નથી. જયારે ભાજપ અને શિવસેના 50 - 5 0 ના મુદ્દે એકબીજા સાથે સમાધાન કરવા તૈયાર નથી.