તા.26 જાન્યુઆરીએ ટ્રેકટર પરેડમાં હિંસા - 15 મી ઓગસ્ટએ ફરકાવામાં આવતા પોલ ઉપર ખાલસા પંથનો ધ્વજ લહેરાવ્યો - 22 FIR દાખલ

તા.26 જાન્યુઆરીએ ટ્રેકટર પરેડમાં હિંસા - 15 મી ઓગસ્ટએ ફરકાવામાં આવતા પોલ ઉપર ખાલસા પંથનો ધ્વજ લહેરાવ્યો - 22 FIR દાખલ

કૃષિ કાયદાના વિરોધમાં તા.26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલા હિંસા અંગે પોલીસ એક્શનમાં આવી છે. હિંસાની ઘટનાઓમા અત્યારસુધીમાં 22 FIR નોંધાઈ ચૂકી છે. હિંસા કરનારાઓની ઓળખ માટે પોલીસ CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. હાલ લાલ કિલ્લા અને સિંધુ બોર્ડર ઉપર સુરક્ષા વધારી દેવાઈ છે.
ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ નક્કી કરેલા સમય પહેલાં જ શરૂ કરી દીધી હતી. પોલીસે પરેડ માટે મંગળવારે બપોરે 12 થી સાંજે 5 વાગ્યાનો સમય અને રૂટ નક્કી કર્યો હતો. દિલ્હીમાં દાખલ થવા માટે સિંધુ, ટીકરી અને ગાઝીપુર એન્ટ્રી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા પરંતુ ખેડૂતો સવારે 8.30 વાગ્યે જ એન્ટ્રી પોઈન્ટ પર બેરિકેડ્સ તોડીને દિલ્હીમાં બળજબરીથી ઘૂસી ગયા અને પરેડ શરૂ કરી દીધી હતી જેને લઇ દિવસભર ભડકેલી હિંસામાં 86 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ખેડૂતોએ પરેડ નક્કી કરેલા સમયથી લગભગ સાડા ત્રણ કલાક પહેલાં શરૂ કરી દીધી. ખેડૂતોએ શરૂઆતથી જ નક્કી કરેલ રૂટ ફોલો નહોતા કર્યા. સૌથી પહેલા સિંધુ બોર્ડરથી ખેડૂત દિલ્હીમાં દાખલ થયા. અહીં બેરિકેડ્સ તોડી દેવાયાં. ત્યાર પછી ટીકરી અને ગાઝીપુરમાં પણ ખેડૂતોએ આ પ્રકારની દિલ્હીમાં એન્ટ્રી કરી. ટ્રેક્ટર્સ પર સવાર ખેડૂતોની સંખ્યા અને વલણ જોઈને પોલીસ પણ ત્યાંથી પાછળ ખસી ગઈ હતી. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે બપોરે લગભગ 12.30 વાગ્યે નોઈડા વળાંક પર અટકાવ્યા અને ટીયર ગેસના સેલ છોડ્યા. ત્યાર પછી ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગાડીઓમાં તોડફોડ કરી હતી આ સ્થળો ઉપર નિહંગોનું ગ્રુપ તલવાર લહેરાવતું જોવા મળ્યું. પોલીસે દાવો કર્યો હતો કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ પિકેટ પર ટ્રેક્ટર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ ઈન્ડિયા ગેટ તરફ વાળવાનો પ્રયાસ કર્યો ત્યાં પોલીસે તેમને અટકાવ્યા હતા જયારે ખેડૂત ન માન્યા તો લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા જેમાં ઘણા પોલીસકર્મી અને આંદોલનકારી ખેડૂતો ઘાયલ થયા હતા. અહીં બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કરી રહેલા એક આંદોલનકારનું ટ્રેક્ટર પલટી જવાથી મોત થયું હતું જેને લઇ ખેડૂતો નવનીતનો મૃતદેહ રાખીને સાંજે 6 વાગ્યા સુધી ધરણાં કરતા રહ્યા.
સિંધુથી નીકળેલા ખેડૂતોએ રૂટ બદલી લાલકિલ્લા તરફ આગળ વધ્યા. બપોરે લગભગ 2 વાગ્યે હજારો ખેડૂત બળજબરીથી લાલકિલ્લાની અંદર દાખલ થયા અને બહાર ટ્રેક્ટર ઊભાં કરી પોલીસ સાથે ઝપાઝપી કરી તોડફોડ કરી હતી. પહેલા પોલ પર ચઢીને ખાલસા પંથનો ધ્વજ લહેરાવ્યો જ્યાં દર વર્ષે 15 ઓગસ્ટે વડાપ્રધાન તિરંગો લહેરાવે છે. લગભગ દોઢ કલાક સુધી ખેડૂતો અહીં નારા લગાવતા રહ્યા જે બાદ પોલીસે તેમને બહાર કાઢવા માટે લાઠીચાર્જ  કરવો પડ્યો હતો. ખેડૂતો જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં હોબાળો કર્યો. ITO અને સેન્ટ્રલ દિલ્હીમાં ખેડૂતોના દાખલ થયા પછી તિલકબ્રિજ રેલવે સ્ટેશન પર પણ ટ્રેન લગભગ 2 કલાક સુધી અટકાવી હતી. ત્યાર પછી જામા મસ્જિદ, દિલશાદ ગાર્ડન, ઝિલમિલ, માનસરોવર પાર્ક મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયાં તેમજ ગ્રે લાઈન પર 4 મેટ્રો સ્ટેશન ઉપર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બંધ કરી દેવાયા ઉપરાંત ઈન્દ્રપ્રસ્થ, સમયપુર બાદલી, રોહિણી સેક્ટર18/19, હૈદરપુર બાદલી મોર, જહાંગીરપુરી, આદર્શનગર, આઝાદપુર, મોડલ ટાઉન, જીટીબી નગર, વિશ્વવિદ્યાલય, વિધાનસભા અને સિવિલ લાઈન મેટ્રો સ્ટેશન લગભગ 2 કલાક સુધી બંધ રહ્યાં હતાં. હિંસાને ધ્યાનમાં રાખતાં ઈન્ટરનેટ સર્વિસ પણ થોડાક સમય માટે અટકાવી દેવાઈ હતી.
ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસક ઘટનાઓને લઇ સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓએ કહ્યું હતું કે કાયદો અમારી તરફથી નથી તોડવામાં આવ્યો.
ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે 32 ખેડૂત સંગઠન ટ્રેક્ટર પરેડ માટે પોલીસ તરફથી નક્કી કરાયેલા રૂટ પર જ ચાલી રહ્યાં હતાં. અમે જાણીએ છીએ કે કોણ અડચણ ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ એ રાજકીય પક્ષોના લોકો છે જે આંદોલનને બદનામ કરવા માગે છે.
ટ્રેકટર પરેડ દરમિયાન હિંસા અંગે દિલ્હી પોલીસ કમિશનર કહ્યું હતું કે ટ્રેક્ટર રેલીનો સમય અને રૂટ ઘણી વખતની વાતચીત પછી નક્કી કરવામાં આવ્યો હતો પણ ખેડૂતોએ સમયથી પહેલાં જ રેલી શરૂ કરી દીધી અને નક્કી રૂટથી બહાર ટ્રેક્ટર લઈ ગયા જેને કારણે હિંસા ફેલાઈ જેમાં ઘણા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા.
દિલ્હીમાં ટ્રેકટર રેલી બાદ ભડકેલી હિંસા બાદ ગૃહમંત્રી અમિત શાહે હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી જે બાદ રાજધાનીમાં અર્ધ સૈનિકદળોની વધુ કંપનીઓ મોકલવામાં આવી છે તેમજ દિલ્હી પોલીસને ઉપદ્રવીઓ સામે સખતાઈથી એક્શન લેવાના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઇ દિલ્હી પોલીસે 7 એફઆરઆઈ નોંધી છે. દિલ્હીની હિંસા બાદ હરિયાણામાં કેબિનેટની ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી છે અને મુખ્યમંત્રી ખટ્ટરે પોલીસને હાઈ અલર્ટ પર રહેવાના આદેશ આપતા સાથે જ દિલ્હી પાસે આવેલા 3 જિલ્લા સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ અને SMS સર્વિસ બંધ કરી દેવાઈ હતી.