Bharuch : માલધારી સમાજનાં આગેવાનો દ્વારા કલેકટરને આવેદન પત્ર

કલાદરા ગામનાં માલધારી સમાજનાં આગેવાનોએ ખરાબાની જમીન ખોદકામનો ઠરાવ ના મંજૂર કરવા અંગે કલેકટરને આવેદન પત્ર આપ્યું
ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરા ગામમાં સર્વે નં.74 માં ગ્રામપંચાયત દ્વારા આ જમીનમાં માટીના ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે ઠરાવ પરત ખેંચવા આ વિસ્તારનાં માલધારી સમાજે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. વાગરા તાલુકાના કલાદરા ગામમાં મોટા ભાગના પશુપાલકો વસવાટ કરે છે. અહીં અંદાજિત 2000 જેટલા ઘેટાં, બકરા, ગાયો, ભેંસો વસવાટ કરે છે. કલાદરા ગામનો માલધારી આહીર સમાજ મોટાભાગે પશુપાલનનાં વ્યવસાય પર નભે છે આથી સર્વે નં.74 માં કરવામાં આવેલો માટી ખોદકામનાં ઠરાવથી આ ગામનાં પશુઓને ચરવાનો તેમજ ગામનાં લોકોને અવરજવરનો રસ્તો કાયમી ધોરણે બંધ થઈ જશે તેમજ આ ગામમાં આ અગાઉ પણ ભૂમાફિયા દ્વારા રેતી-માટી માટે તળાવમાં ખોદકામ કરતાં ગામ લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આથી આવા સંજોગોમાં હાલમાં ગામ લોકોને જાણ કર્યા વિના અહીં આ સર્વે નંબરમાં જે ખોદકામની મંજૂરી આપવામાં આવી છે તે રદ કરવામાં આવે ઉપરાંત અહીં પશુપાલકોનાં પશુનાં ચારણની જગ્યાનો નાશ થવાની દહેશત છે તેમજ અહીંનાં ખોદકામ કરેલ તળાવમાં ગામની ભેંસો ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે તથા જો આ જમીનનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવશે તો ગામ લોકોના ઢોર ચરવા માટેની કોઈ જગ્યા રહેશે નહીં આથી આજે કલેકટર કચેરીએ સર્વે નં.74 વાળી જમીનનો ઠરાવ ના મંજૂર કરવા અને જો ઠરાવ ના મંજૂર ન થાય તો પોતાના પ્રાણનો ત્યાગ કરશે તેવી ચીમકી ઉચ્ચારી કલાદરાનાં આહીર સમાજે કલેકટર સમક્ષ આ ઠરાવને મંજૂરી ન આપવાની રજૂઆત કરી છે.