Bhavnagar : યમદૂત બનીને આવેલા પાણીના ટેન્કરે આધેડ દંપતીને લીધો અડફેટે

યમદૂત બનીને આવેલા પાણીના ટેન્કરે આધેડ દંપતીને અડફેટે લેતા મોત
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં ગઈ કાલે શુક્રવારે બપોરના અરસા દરમિયાન ગોઝારો અકસ્માત સર્જાવા પામ્યો હતો. ફુલસર વિસ્તારનું દંપતી બાઇક પર સર ટી. હોસ્પિટલ દવા લેવા માટે જઇ રહ્યું હતું તે વેળાએ કાળરૂપી ધસમસતા આવી રહેલા ટેન્કરના ચાલકે બાઇકને અડફેટે લેતા આધેડ મંગાભાઈ રવજીભાઈનું ટેન્કર નીચે આવી જતા ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે તેમના પત્ની ચંપાબેનને ગંભીર ઇજા પહોંચતા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડાતા વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જતા તેઓએ રસ્તામાં જ દમ તોડી દીધો હતો. અકસ્માત સર્જયા બાદ ટેન્કર ચાલક ઘટના સ્થળ પર જ ટેન્કર છોડી પોબારા ભણી ગયો હતો.
ગોઝારી દુર્ઘટના સર્જી ટેન્કરનો ચાલક ટેન્કર ઘટના સ્થળ પર જ છોડી ફરાર બન્યો હતો. જ્યારે ઉક્ત બનાવ અનુસંધાને મૃતક મંગાભાઇના પુત્ર જગદીશભાઇ મંગાભાઇ (મગનભાઇ) મકવાણા (ઉ.વ.૩૫, રે.ૐ નમઃ શિવાય સોસા., ફુલસર)એ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ટેન્કર નં.જી.જે.૧૮ એક્સ ૯૩૯૪ના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના પગલે ભારે અરેરાટી સાથે આઘાતની લાગણી છવાઇ જવા પામી હતી.