Jamnagar : રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ

જી.જી હોસ્પિટલ ખાતેથી રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો..પ્રથમ રસી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિની દેસાઈએ લીધી: અન્ય પણ રસીકરણમાં જોડાય તેવી અપીલ કરી.. કોરોના રસી આત્મનિર્ભરતાનું પ્રથમ ચરણ
જામનગર ખાતે આજે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. સમગ્ર જિલ્લામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના આહવાન સાથે જ જી. જી હોસ્પિટલ જામનગર ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીથી હચમચી ગયું હતું ત્યારે ભારત જેવા ખૂબ મોટી વસતી ધરાવતા દેશમાં પણ પ્રધાનમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિથી આગોતરા પગલાં અને આયોજનના કારણે અન્ય દેશોની સરખામણીએ ખૂબ ઓછા કેસ જોવા મળ્યા. તત્પરતા અને ત્વરીત સારવાર થકી અન્ય દેશોની સરખામણીએ ભારતમાં મૃત્યુદર ઓછો અને રિકવરી રેટ ખૂબ ઉંચો થયો. આમ છતાં પણ આપણે આપણા ઘણા સ્વજનો ગુમાવ્યા છે, જેમાં આપણા હેલ્થ કર્મીઓ પણ સેવા કરતાં કરતાં શહીદ થયા છે, કહી મંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ રસી ભારતમાં બની છે, જે આત્મનિર્ભરતાનું પ્રથમ ચરણ છે. રસી પર ખુદ સતત પ્રધાનમંત્રીશ્રીએ પણ નિરીક્ષણ રાખ્યું હતું. તમામ સંશોધન પ્રક્રિયા પૂર્ણ કરીને આ રસી આજે આપણી પાસે પહોંચી છે, જે એકદમ સુરક્ષિત અને અસરકારક છે. પ્રથમ તબક્કે દિવસ-રાત માનવજાતની સેવા કરનાર ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ કે જેઓ ફ્રન્ટલાઈન વોરીયર્સ છે, તેઓને આજથી રસીકરણનો શુભ આરંભ થઇ રહ્યો છે. આ રસીને બે ડોઝમાં આપવામાં આવશે. જેના થકી રસી લેનાર વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે. આજે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતેના રસીકરણ બૂથ લેવલે ૧૭૦ જેટલા તબીબોને રસી આપવામાં આવશે. આ તકે કલેકટરશ્રીએ આ કોરોના મહામારી દરમિયાનના એક વર્ષની જામનગર જિલ્લાની લડતના સંસ્મરણોને તાજા કર્યા હતા અને સાથે જ આરોગ્યકર્મીઓ, જામનગરની અનેક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અનેક નામી અનામી દાતાઓનો આ લડતમાં સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ રસીકરણના શુભારંભ સાથે જામનગર જિલ્લામાં પ્રથમ એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી ડોક્ટર નંદિની દેસાઈએ વેક્સિનનો સૌપ્રથમ ડોઝ લીધો હતો અને અન્ય લોકોને પણ રસી લઇ આ અભિયાનમાં જોડાઇ માનવજાતને આ મહામારીમાંથી બહાર આવવા અપીલ કરી હતી. ડિનશ્રી બાદ કોવિડના નોડલ ડો. ચેટરજી, જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટશ્રી ડો. તિવારી, whoના પ્રતિનિધિ શ્રી ડો. વિનય કુમારે પણ રસી લઇ રસીકરણ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.