કેશોદની દીપાર્તી ફર્નિચર નજીક નોબલ હોસ્પિટલ રોડ પર મેટાડોરમાં નિન્દ્રાધીન યુવક પર ફાયરીંગ કરવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે.
કેશોદ ના જૂનાગઢ રોડ પર મેટાડોરનો ચાલક ભરત પુંજાભાઈ કુવાડીયા ( ઉંવ.24 ) બપોરે મેટાડોરમાં નિન્દ્રાધીન થયો હતો.તે સમયે કોઈ અજાણ્યા શખસે ભરતની પીઢના ભાગે બંદુક જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું.ફાયરીંગથી ઈજાગ્રસ્ત થયેલા ભરતે ચીસો પાડતાં લોકો દોડી આવ્યા હતા.જોકે લોકો દોડી આવે તે પહેલાં જ ફાયરીંગ કરનાર અઝાણ્યા શખસો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.લોહીલુહાણ થઈ ગયેલા ભરત કુંવાડીયાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.ફાયરીંગની ઘટનાની જાણ થતાં કેશોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અંગે ભરત કુંવાડીયાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.જેમાં ગંભીર આક્ષેપો કરી શંકા વ્યક્ત કરી હતી કે તેના સાળા પ્રદીપ નારણભાઈ કાનગડ અને સસરા નારણભાઈ કાનગડે તેના પર ફાયરીંગ કર્યું હોવાની શંકા છે.તેણે પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેણે રાજકોટના આહીર ચોકમાં રહેતી યુવતી સાથે ચાર માસ પહેલાં જ ઘરેથી ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.પ્રેમ લગ્ન કર્યાના થોડા જ દિવસોથી તેને અજાણ્યા શખસો દ્વારા ધમકીઓ મળતી હતી.થોડા દિવસ પહેલાં જ અજાણ્યા શખસે તેની પત્નિને ફોન કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
ફાયરીંગમાં ઈજાગ્રસ્તે ભરતે કરેલા ગંભીર આક્ષેપોના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર પી એમ ઝાલાએ તપાસનો દોર શરુ કર્યો છે.જેમના પર ફાયરીંગ કર્યાની શંકા અને આક્ષેપો કરવામાં આવ્યા છે તે નારણ કાનગડ અને પ્રદીપ કાનગડને સોધવા માટે જુનાગઢ એલસીબી ટીમ રાજકોટ રવાના થઈ હતી.પ્રેમ લગ્નના કારણે યુવક પર ફાયરીંગની ઘટનાએ કેશોદ વિસ્તારમાં સનસનાચી મચાવી દીધી હતી.કેશોદ પોલીસ ભરતે કરેલી શંકાના આધાર પર તપાસનો દોર ચલાવી રહી છે.