સાઉદી અરેબીયામાં નોકરી કરતા ભારતીય સહિતના વિદેશીઓ હવે તેમના માલિક એટલે કે જ્યાં નોકરી કરતા હોય તે માલિક કે કંપનીના બંધનમાં રહેવું પડશે નહીં। સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે હવે વર્ક કરારમાં જે કામદાર અથવા કર્મચારીઓ પોતે ઇચ્છતા હોય તે સમયે સાઉદી અરેબીયા છોડી શકશે તેવો સુધારો કરવા નિર્ણય લીધો છે અને આગામી માર્ચ મહિનાથી તેનો અમલ શરુ થશે.
સાઉદીના માનવ સંશાધન વિભાગના ઉપમંત્રી અબ્દુલ્લાહ બિન નાસીરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિદેશી કામદારો જે સ્થળે નોકરી કરતા હોય તેના માલિક સાથેના કરારમાં બંધનયુક્ત સ્થિતિમાં રહે છે તેમને નોકરી બદલવાની કે કરાર પૂરો થાય ત્યાંસુધી સાઉદી અરેબીયા છોડવા દેવામાં આવતા નથી પરંતુ હવે સાઉદી સરકારે મહત્વના નિર્ણય લીધો છે જેમાં કામદારોનુંં શોષણ અટકાવવા તથા તેઓ ઇચ્છે ત્યારે પોતાના દેશ કે અન્ય દેશમાં જઇ શકે તે હેતુથી વર્ક પરમિટમાં સુધારો કર્યો છે. જેમાં કામદાર પોતે ચોક્કસ સમયની નોટીસ આપીને પોતાની નોકરી ગમે ત્યારે છોડી શકશે। ઉપરાંત તેને એક શહેરમાંથી બીજા શહેરમાં નોકરી માટે જવાની પણ સરકારની મંજૂરી ફક્ત ઔપચારિકતા અને વિઝાના હેતુસર જ લેવાની રહેશે।