Rajpipla : કિસાન સૂર્યોદય યોજનાનો તિલકવાડા ખાતેથી શુભારંભ કરાયો

ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેનાથી નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ ૨૭૦૨ ગામોના ખેડૂતોને કુલ ૯૫૩ ખેતી વિષયક ફીડરોના ૨.૨૪ લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્તપણ કરવામાં આવ્યુ હતુ. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૫૭ ગામોની રૂ. ૭૨.૬૬ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૨૧ ગામોની રૂ. ૨૩.૦૩ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના ૩૨ ગામોની રૂ. ૪૯.૯૪ કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના ૩૬ ગામો અને ૨૨ ફળિયાની રૂ. ૭.૨૪ કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે તિલકવાડાની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે આજેયોજાયેલઆ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઉર્જા રાજ્યમંત્રી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.