Surat : રાત્રે કરફ્યુ દરમિયાન પાનનો ગલ્લો ખોલાવવા મામલે જીવલેણ હુમલો

કોસાડ આવાસમાં બુધવારે રાત્રે કરફ્યુ દરમિયાન પાનનો ગલ્લો ખોલાવવા મામલે ઝગડો થતા યુવકોએ સામ સામે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ યુવકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કોસાડ આવાસ ખાતે રહેતો નરેશ રાજુ કોલી ગેરેજ ચલાવે છે. બુધવારે રાત્રે 9:30 વાગ્યે કરફ્યુના સમયે કોસાડ આવાસમાં ઘર નજીક પાનનો ગલ્લો બંધ થઈ ગયો હોવાથી પાન મસાલા ખરીદવા ગલ્લો ખોલાવવા નરેશે બુમાબુમ કરી હતી. નજીકમાં રહેતા ફિરોજખાન જબ્બારખાન પઠાણ અને શાહરૂખ અનીસ અન્સારી ત્યાં આવ્યા હતા અને બુમાબુમ કરવા બાબતે નરેશ સાથે રકઝક થતા ઝગડો થયો હતો. જેમાં શાહરૂખ અને ફિરોજખાને નરેશ પર તેમજ નરેશે બન્ને પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ફિરોજખાનને બન્ને પગે, શાહરૂખ અન્સારીને પેટના ભાગે તેમજ નરેશને માથામાં અને બન્ને પગે ચપ્પુ વડે ઈજા થતા ત્રણેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અમરોલી પોલીસે બન્ને પક્ષે સામ સામે હત્યાના પ્રયાસની ફરીયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.