ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે 11 હજાર રૂપિયામાં જ થશે લગ્નવિધિ

એક તરફ વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મધ્યમ વર્ગની પરવડતો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળોએ લગ્‍ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા એક નવો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.
જે અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ સાંનિધ્યે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્‍ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્‍ટ ફેસેલીટી કેન્‍દ્ર બનાવવામાં આવેલ છે. જેમાં કોઇપણ નાગરીક લગ્‍નપ્રસંગ કરી શકે તેવું આયોજન ટ્રસ્‍ટએ કરેલ છે. જેના માટે રૂ.11 હજાર રકમ ભરશે એટલે ટ્રસ્‍ટ દ્રારા વેદોકત પુરાણોકત રીતે લગ્‍ન વિધિ કરાવી આપશે.
વઘુમાં લગ્‍નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્‍ન હોલ, સ્‍ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્‍નવિધિની સામગ્રી, બ્રાહમણ, મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ, લગ્‍નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની સીડી, સંસ્‍થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્‍યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, ખેસ, આંતરપટ જેવી સુવિધાઓ ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવશે. આ સાથે પાલિકાનું લગ્‍ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સુવિધા બાદ આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીગ ડેસ્‍ટિનેશન તરીકે પ્રખ્‍યાત થશે.
દેશ-વિદેશના લોકો હવે જગવિખ્‍યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિધિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિધા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્‍ધ કરાવશે. આ સુવિધાથી આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટિનેશન બની રહેશે.