પાકિસ્તાનમાં કેદ 400 થી વધુ માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહે ઉઠાવ્યો

પાકિસ્તાનમાં કેદ 400 થી વધુ માછીમારોનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહે ઉઠાવ્યો

ગુજરાતથી ચૂંટાયેલા કોંગ્રેસના રાજ્યસભામાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે શૂન્યકાળ દરમિયાન માછીમારોનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં ભારતના 400 થી વધુ માછીમારો અને 1100 થી વધુ બોટ કબજામાં છે ત્યારે તેમને લાવવા માટે ભારત સરકારે પગલાં લેવાની જરૂર છે. ગુજરાતની દરિયાઈ સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી હોવાથી પાકિસ્તાની નેવી ગમે ત્યારે ભારતની સીમામાં ઘૂસીને માછીમારોને ઉપાડી જાય છે જેને લઇ પાકિસ્તાનના કરાંચીની મધ્યસ્થ જેલમાં 400 થી વધુ ભારતીય માછીમારો કેદ છે અને પાકિસ્તાને તેમની 1100થી વધુ બોટ પણ કબજે લઈ લીધી છે ત્યારે સરકારે આ તમામને છોડાવવા માટે તાકિદે પગલાં ઉઠાવવા જોઈએ ઉપરાંત પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી ભારતીય માછીમારોને પકડી ન લે તે માટે કોસ્ટગાર્ડનું પેટ્રોલિંગ વધારવાની સાથે સાથે વેસટ ટ્રેકિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં થયેલી ગેરરીતિ ઉપર પણ સરકારે ધ્યાન આપવું જોઈએ. ગેરરીતિનો ખુલાસો કેગના રિપોર્ટમાં થઈ ગયો છે તેથી સરકારે તેને ગંભીરતાથી લેવો જોઈએ.
કેગના રિપોર્ટ અનુસાર 270 ભારતીય માછીમારો અને 54 નાગરિકો પાકિસ્તાનની જેલમાં બંધ છે જે પૈકીના 100 જેટલા માછીમારોએ પોતાની સજા પણ પૂરી કરી લીધી હોવા છતાં તેમને છોડવામાં આવી રહ્યા નથી જેને લઇ કોંગ્રેસ નેતાએ આજે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.