રાજકોટ : સમરસમાં ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં

રાજકોટ કલેક્ટરે કહ્યું- તબીબી સ્ટાફમાં ખેંચ, 400 બેડની હોસ્પિટલ સૌ.યુનિ.માં 5 દિવસમાં શરૂ થશે, નર્સિંગના સ્ટુડન્ટ લવાશે
રાજકોટમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રોજ 600 નજીક પોઝિટિવ કેસની સંખ્યા આવી રહી છે. શહેરની તમામ ખાનગી અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. દર્દીઓ દાખલ થવા માટે વલખા મારી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલ તબીબી સ્ટાફમાં ખેંચ વર્તાઇ રહી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ફૂલફેઝ હોસ્પિટલ 5 દિવસમાં શરૂ કરી દેવામાં આવશે. હાલ તેમાં સ્ટાફ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. નર્સિંગના સ્ટુડન્ટોને લાવવામાં આવશે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સાથે અમૃત ઘાયલ હોલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં સીનર્જી હોસ્પિટલ દ્વારા સારવાર શરૂ થઇ જશે. પીડિયાટ્રીક અને IMAના 4 ડોક્ટર સમરસ હોસ્ટેલમાં ઉભી કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સેવા આપશે. હાલ તબીબી સ્ટાફમાં ખૂબ જ મોટી ખેંચ વર્તાઇ રહી છે. 24 કલાક સ્ટાફ કામ કરી રહ્યો છે. સ્ટાફને બુસ્ટિંગ આપવાની જરૂર છે. સ્ટાફ માનસિક તણાવ અનુભવી રહ્યો છે. અમે વાસ્તવિક પરિસ્થિતિ જોઇએ છીએ.
સમરસમાં ઓક્સિજનની પરિસ્થિતિ વિશે કલેક્ટરે જણાવ્યું હતું કે, સમરસમાં પણ ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. 100 વેન્ટિલેટર આવી ગયા છે, સિવિલમાં 305 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 395 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. રાજ્યમાંથી 10 નવી એમ્બ્યુલન્સ લાવવામાં આવી છે. વેક્સિન લીધી હોય તેવા કોરોનાગ્રસ્ત દર્દીઓમાં ગંભીર લક્ષણો જોવા મળતા નથી. લોકોને ફરજીયાત વેક્સિન લેવા અનુરોધ કરીએ છીએ.