સુરત : કોરોના હળવો થતા હવે ગુજરાત સરકાર 100 ટકા અનલોક તરફ

કોરોના હળવો થતા હવે ગુજરાત સરકાર 100 ટકા અનલોક તરફ આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે 11મી જુનથી ધાર્મિક સ્થળો ખોલવાની સાથે હોટલોમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે. તો દુકાનો પણ સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.
રાજ્યમાં કેટલાક નિયંત્રણો વધુ હળવા કરાયાં છે. તારીખ 11 જૂન 2021ના સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરાશે. મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે 11 જૂન 2021 થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9 થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે 9 સુધી અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી થઈ શકશે. રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. તો લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જ્યારે જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે. જ્યારે રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ ઈલ્ટ્સ અને ટોઈફલ વગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે. રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે. વધુમાં રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.