સુરત : વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે કોલેજમાં અટકાવાઈ રહ્યા

અઠવાગેટ ખાતે આવેલ એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ફોર્મ ભરવા ન દેવાતા હોય જેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત દ્વારા કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર દ્વારા અઠવાગેટ ખાતે આવેલ એમ.ટી.બી. આર્ટસ કોલેજના આચાર્યને સંબોધી લખેલી આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે, અમુક વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા માટે કોલેજમાં અટકાવાઈ રહ્યા છે. તેઓએ તેમની જાતિના યોગ્ય પુરાવાઓ સાથે કોલેજમાં એડમિશન લીધુ હતુ તો આવા વિદ્યાર્થીઓને તાત્કાલિક તેઓના હકના ફોર્મ ભરાય અને શિષ્યવૃત્તિ મળે તે માટે રજુઆત કરી હતી.
વધુમાં જો એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ફોર્મ ભરવા ન દેવાશે તો એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓના હકમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચિમકી પણ ઉચ્ચારાઈ હતી.