સંસદ સત્રનો પ્રારંભ - રાષ્ટ્રપતિએ કહ્યું 26 મી જાન્યુઆરીએ થયેલ રાષ્ટ્રધ્વજનું દુઃખદ

સંસદ સત્રનો પ્રારંભ - રાષ્ટ્રપતિએ કહ્યું 26 મી જાન્યુઆરીએ થયેલ રાષ્ટ્રધ્વજનું  દુઃખદ

ભારતીય સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે ત્યારે પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ અભિભાષણ આપતા કહ્યું હતું કે 3 મહત્વપૂર્ણ કૃષિ સુધારા બિલ ગત વર્ષે પાસ થયા છે. નાના ખેડૂતોને થનારા લાભોને જોતા અનેક રાજકીય પક્ષોએ તેનું સમર્થન સમય સમયે કર્યું હતું. બે દશકાથી આ કાયદાઓની માંગ થઈ રહી હતી. મારી સરકાર તેનું પણ પાલન કરશે. ગણતંત્ર દિવસે થયેલું રાષ્ટ્રધ્વજનું અપમાન દુઃખદ છે. કાયદા અને નિયમોનું પાલન કરવું જોઈએ. રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર ભારતમાં નિર્માણ કરવા માટે જ નથી પરંતુ ભારતના લોકોને મજબૂત કરવાની પણ તક છે. તેનાથી ભારતીય કૃષિ મજબૂત બનશે. સ્વામીનાથન આયોગની ભલામણોને લાગુ કરતા MSPને દોઢ ગણી વધારવામાં આવી છે. મારી સરકાર MSP પર રેકોર્ડ ખરીદી કરી રહી છે. ખરીદીના કેન્દ્રો પણ વધારી રહી છે. જુની સિંચાઈ પરિયોજનાની સાથે આધુનિક સિંચાઈની ટેકનિકને પણ ખેડૂત સુધી પહોંચાડી રહી છે. માઈક્રો ઈરિગેશનથી ખેડૂતોને જોડી રહી છે.
વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના માધ્યમથી 8 મહિના સુધી 80 કરોડ લોકોને 5 કિલો પ્રતિ મહિને વધારાનું અનાજ વિના મુલ્યે આપવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. સરકારે પ્રવાસી શ્રમિકો, કામદારો અને પોતાના ઘરેથી દૂર રહેનારાઓની પણ ચિંતા કરી. મહામારીના કારણે શહેરોમાંથી પરત આવી ગયેલા પ્રવાસી મજૂરોને તેમના જ ગામમાં કામ આપવા માટે મારી સરકારે 6 રાજ્યમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન પણ ચલાવ્યું. આ અભિયાનના કારણે 50 કરોડ મેન ડેસ જેટલી રોજગારીનું સર્જન થયું.
આજે સંસદ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ સહિત 19 વિપક્ષોએ કૃષિ કાયદાઓની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રત્યે સહાનુભુતિ વ્યક્ત કરતા રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિના સંબોધનનો વિરોધ કરનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, શિવસેના, સમાજવાદી પાર્ટી, NCP, JKNC, DMK, TMC, RJD, CPI-M, CPI, IUML, RSP, PDP, MDMK, કેરળ કોંગ્રેસ(M) અને AIUF સામેલ છે. બાદમાં આમ આદમી પાર્ટી અને શિરોમણી અકાલી દળે પણ બાયકોટની જાહેરાત કરી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકના સંબોધનની સાથે સત્રની શરૂઆત થશે. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે પ્રથમ વખત બજેટ સેશન પર રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન સાંસદ સેન્ટ્રલ હોલ સિવાય લોકસભા અને રાજ્યસભામાં બેસશે. તા.1 ફેબ્રુઆરીએ સંસદમાં નાણાંકીય વર્ષ 2021-22નું આમ બજેટ રજૂ કરવામાં આવશે. બે તબક્કામાં ચાલનાર બજેટ સત્ર તા.8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રનો પ્રથમ તબક્કો આજથી તા.15 ફેબ્રુઆરી સુધી ચાલશે. જ્યારે બીજો તબક્કો તા.8 માર્ચથી તા.8 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સત્રમાં ત્રણે કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન દરમિયાન તા.26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસાનો મુદ્દો ઉઠવાની શકયતા છે. કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદનું કહેવું છે કે મોદી સરકારે વિપક્ષની સાથે ચર્ચા કર્યા વગર ત્રણે કૃષિ કાયદાઓને સંસદમાં જબરજસ્તીથી પાસ કરાવી લીધા.
વિપક્ષોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓમાં કેન્દ્ર સરકારની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. લાંબા સમય સુધી આ દેખાવો શાંતિથી ચાલતા રહ્યાં. જોકે ગણતંત્ર દિવસે અચાનક જ તે હિંસક બની ગયા. ઘણા પોલીસ કર્મચારીઓ પણ તેમાં ઘાયલ થયા. વિપક્ષના જણાવ્યા મુજબ સરકાર ખેડૂતો પર જબરજસ્તીથી કૃષિ કાયદાઓને થોપી રહી છે. તેના કારણે કરોડો ખેડૂતો બરબાદ થઈ જશે. ઠંડી અને વરસાદની વચ્ચે ખેડૂતો છેલ્લા 64 દિવસથી પોતાનો વિરોધ દર્શાવી રહ્યાં છે. ખેડૂતો પર પોલીસે ટિયર ગેસ અને વોટર કેનનો ઉપયોગ કર્યો. આ સિવાય ખેડૂતોની વિરુદ્ધ સરકારે ખોટી માહિતી ફેલાવવા માટે કેમ્પેન શરૂ કર્યું.