ધર્મના નામે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવવાના પ્રયાસો : પ્રધાનમંત્રી

ધર્મના નામે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવવાના પ્રયાસો : પ્રધાનમંત્રી

નાગરિકતા સુધારા કાનૂનની સામે દેશભરમાં શરુ થયેલ હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી દેશભરના તમામ લોકોને સંદેશ આપ્યો હતો. નાગરિકતા સુધારા કાનૂનને લઇને હિંસા ઉપર ઉતરેલા તોફાની તત્વોને મોદીએ ખુલ્લો પડકાર ફેંકીને લોકોને સાવધાન કર્યા હતા. સાથે સાથે મોદીએ કહ્યું હતું કે નાગરિકતા સુધારા કાનૂન અને એનઆરસીના મુદ્દે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કોંગ્રેસ, શહેરી નક્સલવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે ધર્મના નામ ઉપર મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. વર્તમાન નાગરિક સુધારા કાનૂનને દેશમાં રહેતા 130 કરોડ લોકોને કોઇ લેવા દેવા નથી. 130 કરોડ લોકોની સુરક્ષાને લઇને કોઇપણ ભય નથી. બિનજરૂરી રીતે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. મોદીએ રેલીમાં નામ લઇને વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ, આપ, ડાબેરીઓ, ટીએમસી સહિતના પક્ષોની ઝાટકણી કાઢી હતી. બુદ્ધિજીવીઓ પોતાના શિક્ષણને માન આપીને આગળ વધે તે પણ જરૂરી હોવાની વાત મોદીએ કરી હતી. શિક્ષણને પણ બદનામ કરવાનું કામ કર્યું છે. મોદીએ દાવા સાથે કહ્યું હતું કે પાકિસ્તાનને સંપૂર્ણપણે ખુલ્લુ પાડી દેવાની તક ભારતને મળી હતી પરંતુ બિનજરૂરી રીતે હોબાળો મચાવી દઇને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ આતંકવાદ, માનવ અધિકાર સહિતના મુદ્દા ઉપર પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડી દેવાની તક ગુમાવી દીધી છે. વિરોધ પક્ષો દ્વારા જુઠ્ઠાણા ફેલાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. જે લોકો કાગળ, સર્ટિફિકેટના નામ પર મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેમને યાદ રાખવાની જરૂર છે કે અમે ગરીબોની ભલાઈ માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓના લાભાર્થીની પસંદગી કરવા ક્યારે પણ કાગળોની મર્યાદા મુકી નથી.
કલ્યાણ યોજનાઓના લાભાર્થી હિન્દુ છે કે મુસ્લિમ તે અંગે ક્યારે પ્રશ્ન કર્યા નથી. સુવિધાઓના લાભ તમામ લોકોને અને તમામ જાતિના લોકોને આપવામાં આવ્યા છે. આવાસોની ફાળવણી હિન્દુ - મુસ્લિમ જોઇને કરવામાં આવી નથી. ઉજ્જવલાના લાભ પણ હિન્દુ - મુસ્લિમને જોઇને આપવામાં આવ્યા નથી. આયુષ્યમાન ભારતના લાભ પણ હિન્દુ - મુસ્લિમને જોઇને આપી રહ્યા નથી. હિંસા ઉપર ઉતરેલા અને પોલીસને નિર્દય રીતે માર મારનાર તોફાની તત્વોની મોદીએ જોરદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે કોંગ્રેસ સહિતના પક્ષોએ શાંતિ સ્થાપિત થાય તેવા કોઇ પ્રયાસ ન કર્યા હોવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, સીએએને કેટલાક લોકો ગરીબોની સામે ગણાવી રહ્યા છે. જેમનું કહેવું છે કે જે લોકો આવશે તે અહીંના ગરીબોના હક લઇ જશે. જુઠ્ઠાણા ફેલાવનાર લોકોને ગરીબો પર દયા કરવા સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે દેશમાં હાલમાં બે પ્રકારના લોકો રહેલા છે. એક એવા લોકો છે જેમની રાજનીતિ દશકો સુધી વોટબેંક ઉપર કેન્દ્રિત હતી. બીજા એવા લોકો છે જેમને રાજનીતિના લાભ મળ્યા છે. જે લોકોને દેશના લોકોએ ફગાવી દીધા છે તે લોકો રાજનીતિ માટે ફરી હથિયારો લઇને મેદાનમાં આવી ગયા છે.
આગ ફેલાવનાર લોકો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે સ્કુલ બસો, ટ્રેનો, બાઈક ઉપર, સાયકલો, નાની-નાની દુકાનોને ફુંકવામાં આવી છે. ઇમાનદાર કરદાતાઓના પૈસાથી બનેલી સરકારી સંપત્તિને નુકસાન કરવામાં આવ્યું છે. આ પ્રકારના લોકોના ઇરાદા હવે દેશના લોકો જાણી ચુક્યા છે. કોંગ્રેસ પાર્ટી સીએએ પર જુઠ્ઠાણા ફેલાવીને મુસ્લિમોમાં ભય ફેલાવવાના પ્રયાસ કરી રહી છે. સબકા સાથ સબકા વિકાસ મંત્ર ઉપર અમે આગળ વધી રહ્યા છે.  
વિવિધતામાં એકતા ભારત કી વિશેષતા
દેશના વિરોધ પક્ષો લોકોને ગેરમાર્ગે કેમ દોરી રહ્યા છે.
દેશના મુસ્લિમોને ગેરમાર્ગે કેમ દોરવામાં આવી રહ્યા છે
પેપર અને સર્ટિફિકેટના નામ ઉપર લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકો કરી રહ્યા છે
નફરત છે તો વિરોધીઓ તેમના પૂતળા સળગાવી શકે છે પરંતુ ગરીબોને ટાર્ગેટ બનાવવા જોઇએ નહીં
નાગરિક સુધારા બિલ પસાર કરનાર લોકસભા અને રાજ્યસભાનું સન્માન દરેકે કરવું જોઇએ  
સીએએ અંગે અફવા ફેલાવી રહેલા લોકોને સાવધાન થઇ જવાની જરૂર છે
દિલ્હીમાં ગેરકાયદે કોલોનીને કાયદેસર બનાવતી વેળા નિર્ણય કરાયો ત્યારે કોઇ ધર્મ અંગે અમે ક્યારે પ્રશ્ન કર્યા નથી
નાગરિક કાનૂન દેશમાં રહેતા મુસ્લિમો માટે કોઇપણ રીતે નુકસાનકારક નથી
હિન્દુ, મુસ્લિમ, શીખ અને અન્ય તમામ સમુદાયના લોકોને કલ્યાણ યોજનાઓના લાભ મળ્યા છે. લાભ આપતી વેળા કોઇના ધર્મની વાત કરવામાં આવી નથી
130 કરોડ ભારતીયોને સીએબી સાથે કોઇ લેવા દેવા નથી.
એનઆરસી અંગે પણ અફવા ફેલાવવામાં આવી છે. કોંગ્રેસના શાસન દરમિયાન આ બાબત બની હતી
દેશમાં સુરક્ષા અને શાંતિ માટે 33000 પોલીસ જવાનો શહીદી વ્હોરી ચુક્યા છે. આજે તેમને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવી રહ્યા છે. સમસ્યામાંથી લોકોને બહાર કાઢવા પોલીસે ક્યારે કોઇની જાતિ કે ધર્મની વાત કરી નથી
છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ગરીબો માટે દોઢ કરોડ મકાનો બનાવ્યા છે. ક્યારે પણ લાભ આપતી વેળા ધર્મ પુછવામાં આવ્યા નથી
ગરીબોની ગરીબીને જોઇને સરકાર આગળ વધી છે
સમસ્યાઓને અટકાવી રાખવાની અમારી પરંપરા રહી નથી
દિલ્હીમાં રહેતા લોખો લોકો વર્ષોથી છેતરપિંડી, ઠગાઇ, બનાવટી રાજકીય વચનોના શિકાર થઇ રહ્યા હતા.
મોદીએ આ પ્રસંગે આભાર રેલીમાં સરકાર ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવા દેશના લોકોને અપીલ કરી હતી.