પંચમહાલ : સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટિકના ચોખા નિકળ્યા હોવાની ફરિયાદ

શહેરા ખાતેની સસ્તા અનાજની દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટિકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા આ દુકાન ખાતે રાખવામાં આવેલ તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો હતો, તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારીને સરકાર દ્વારા આપવામાં આવતા ફોર્ટિફાઈડ ચોખાના દાણા હોવાનું જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવેલ શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા નંબર ૩ પરથી કાર્ડધારકને સરકાર દ્વારા આપવામાં આવતા જાહેર વિતરણ વ્યવસ્થાનો અનાજનો જથ્થો આપવામાં આવ્યો હતો, આ જથ્થામાં આપવામાં આવેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડધારક દ્વારા શહેરા મામલતદારને કરવામાં આવી હતી તો બીજી તરફ શહેરા મામલતદારને આ જ પ્રકારની ખાનગી રાહે બાતમી પણ મળી હતી જેના આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાનમાં તપાસ કરી દુકાનમાં રાખવામાં આવેલ ચોખાનો ૭૦૦ કિલો ઉપરાંતનો જથ્થો શહેરાના સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપવામાં આવ્યો હતો. સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પુરવઠા નિગમની ટિમ દ્વારા શહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ શહેરા સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે પ્લાસ્ટિકના ચોખા મળી આવ્યા હોવાની વાત પ્રાથમિક તપાસમાં તથ્ય વિહોણી છે, ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઈડ કરીને ઉમેરવામાં આવતા હોય છે, ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને ૫૦ કિલોની બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટિફાઇડ ચોખા ઉમેરવામાં આવે છે તે જ છે, તેમ છતાં આવતીકાલે ગાંધીનગર ખાતેથી તપાસ ટિમ શહેરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરશે.