મુખ્યમંત્રી રૃપાણીનો કોરોના પોઝિટિવ - 5 દિવસમાં 7 જાહેરસભા - પ્રદેશ પ્રમુખ સહીત અનેક નેતાઓ આવ્યા હતા સંપર્કમાં

મુખ્યમંત્રી રૃપાણીનો કોરોના પોઝિટિવ - 5 દિવસમાં 7 જાહેરસભા - પ્રદેશ પ્રમુખ સહીત અનેક નેતાઓ આવ્યા હતા સંપર્કમાં

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન વડોદરામાં રવિવારે રાત્રે જાહેરસભા દરમિયાન બ્લડપ્રેશર લૉ થઈ જતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવી જતા પડી ગયા હતા જેને લઇ તેમને મોડી રાત્રે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ECG, 2D, બ્લડ ટેસ્ટ સહિતના રિપોર્ટ કરાયા હતા જે રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. ત્યારે છેલ્લા ચારેક દિવસમાં મુખ્યમંત્રીએ ચૂંટણી પ્રચાર માટે સભાઓ ગજવી હતી જે દરમિયાન તેમના સંપર્કમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ સહિત સંતો પણ આવ્યા હતાં. રવિવારે વડોદરામાં મુખ્યમંત્રીની સભા દરમિયાન તેમની સાથે ધારાસભ્ય યોગેશ પટેલ સહિત વડોદરાના અગ્રણી કાર્યકરો પણ હતાં. મુખ્યમંત્રી રૂપાણીએ છેલ્લા 5 દિવસમાં 7 જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમજ તા.10 ફેબ્રુઆરીએ ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની સાથે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો અને મંત્રીઓ હાજર રહ્યાં હતાં.
ગત તા.11 તારીખે અમદાવાદમાં સંકલ્પ ગ્રહણ સમારોહમાં પણ તેમણે ભાગ લીધો હતો.
તા.12મી ફેબ્રુઆરીએ તેમણે ભાવનગરમાં 2 સભાઓ ગજવી હતી.
તા.13મી ફેબ્રુઆરીએ તેમણે અમદાવાદમાં BAPSમાં રામ મંદિરના નિર્માણ માટેના અનુદાન પ્રસંગે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરીજી મહારાજ પણ તેમના સંપર્કમાં આવ્યાં હતાં. રૂપાણી જયારે શાહીબાગ મંદિરે પધાર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા સંસ્થાના સંત આનંદસ્વામી નજીક ગયા હતા જેને લઇ તેમને હાલ ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે.
તા.14મી ફેબ્રુઆરીએ તેમણે જામનગરની મુલાકાત દરમિયાન ચૂંટણી પ્રચાર અર્થે સભાઓ ગજવી હતી ત્યારે પ્રદેશ પ્રમુખ સહીત સાંસદ પ્રચાર સભામાં જોડાયા હતા અને અંતે વડોદરામાં કારેલીબાગ ખાતેની સભામાં તેમની તબિયત લથડી હતી.
મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે તેમણે તા.12મી ફેબ્રુઆરીએ ભાજપના મંત્રીઓ અને નેતાઓની સાથે પ્રચાર સભામાં ભાગ લીધો હતો.
મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય અંગે જણાવતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાત્રે જ તેમના ટેસ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઈકાલે તેમના ટેસ્ટ નોર્મલ હતા. હાલમાં તેમની તબિયત સારી છે. સ્પેશિયલ વોર્ડમાં કોરોનાની સારવાર શરૂ કરી દેવાઈ છે અને એક અઠવાડિયું હોસ્પિટલમાં રહેશે. મુખ્યમંત્રીને ડાયાબીટિસ કે બીપીની કોઈ તકલીફ નથી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીના સંપર્કમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ - ડે.નીતિન પટેલ - ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા - કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ - જામનગરના સાંસદ પૂનમ માડમ - મંત્રી વિભાવરીબેન દવે - મંત્રી યોગેશ પટેલ - પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહીત અન્ય નેતાઓ આવ્યા હતા.