સુરત શહેરમાં કોરોનાના તાંડવને લઈ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં અચાનક જ ઓક્સિજનની ભારે અછત સર્જાઇ રહી છે જેને લઇ છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે ત્યારે સોમવારે સતત એક કલાક સુધી ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો તેમજ મંગળવારે ફર્સ્ટ ફ્લોર પર ઓક્સિજન ટેન્કમાં બરફ જામી જતાં સપ્લાઈ પૂરતા પ્રેશરથી આવતો બંધ થઇ ગયો હતો. સતત બે દિવસથી સર્જાયેલી સમસ્યાને કારણે 10 જેટલા દર્દીનાં મૃત્યુ થયાં હોવાનું અધિકારીક સુત્રોએ જણાવ્યું હતું જોકે સત્તાવાર રીતે સિવિલ સત્તાધીશો આવી કોઇ ઘટના બની જ ન હોવાનું રટણ કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે ઓક્સિજન સપ્લાઈ અટક્યો હતો પણ તેના લીધે દર્દીનાં મૃત્યુ વધ્યાં નથી.
સુરત મેડિકલ કોલેજના ડીન ડો.ઋતુમ્બરા મહેતાએ જણાવ્યું હતું કે કોવિડ 19 હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયને પહોંચી વળવા માટે મુકાયેલી ટેન્કમાં ઓક્સિજન ભરવા માટે રોજે ટેન્કર આવે છે. ઓક્સિજન ભરાય રહ્યો હોય એ સમયે દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ઓક્સિજન સપ્લાય ડ્યૂરા અને પોટા જેવા ઓક્સિજન સિલિન્ડર મારફતે પહોંચાડવામાં આવે છે. આ દરમિયાન ઓક્સિજનનું પ્રેશર 5 થી 10 મિનિટ માટે ધીમું થાય છે. આવું રોજ જ કરવામાં આવે છે. હાલ હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધુ છે જેને લઇ રોજે રોજ મૃત્યુ પણ થઇ રહ્યા છે પરંતુ ઓક્સિજન સપ્લાયને લીધે મૃત્યુ થયા હોય એમ માની ન શકાય.
સુરત સિવિલના આરએમઓએ જણાવ્યું હતું કે ઓક્સિજન ટેન્કમાં બરફ જામી જવાને લીધે પ્રેશર ઘટી ગયું હતું અમે તરત જ પાણીનો ઉપયોગ કરી પ્રેશર વધારી દીધું હતું. ઓક્સિજન પ્રેશર ઘટવાને લીધે દર્દીના મોત થયાની વાત ખોટી છે.
કેટલાક યુવાનો સુરત સિવિલમાં ઓક્સિજન સપ્લાયની અછતને પહોંચી વળવા રાત્રે સિલિન્ડરો દ્રારા સપ્લાય પૂરો કર્યો હતો છતાં તંત્ર સબ સલામત હૈની બુમરાડ પડી રહ્યું છે.