Surat : ટ્રાફિકથી ધમધમતાં રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે તૈયારી

સતત ટ્રાફિકથી ધમધમતાં રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે તૈયારી થઈ રહી છે. 20 વર્ષ પહેલા 18 કરોડના ખર્ચે બનેલા બ્રિજનું 14.66 કરોડના ખર્ચે રિપેરીંગ થશે. બ્રિજ રીપેરીંગ માટે આઠ માસ લાગશે. જેમાં 4 મહિનાથી વધુ સમય સુધી સુપર સ્ટ્રકચર રીપેરીંગની કામગીરી દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે. આ વિસ્તારમાં ટ્રાફિક ડાઈવર્ટ કરવા બીજો વિકલ્પ ન હોવાથી ટ્રાફિક સમસ્યા વકરવાની ભીતિ છે.
રીંગરોડ ફ્લાય ઓવરબ્રિજને રૂપિયા 14.66 કરોડના ખર્ચે રીપેરીંગ અને રીહેબિલીટેશન કરાશે. તેમાં સ્ટ્રક્ચર, બેરિંગ, વિરિંગકોટ, કલરકામ સહિત રિપેરિંગ કરવામાં આવશે. તે માટે એલ વન આવેલા મહેન્દ્ર ઈન્ફ્રા. મુંબઈની ઓફરને મંજૂરી અપાઈ છે. આ બ્રિજ 2000ની સાલમાં લગભગ 18 કરોડના ખર્ચે બન્યો હતો.આ બ્રિજનું 14.66 કરોડના ખર્ચે રિપેરીંગ કરાશે. જેમાં કામગીરી માટે આઠ માસનો સમય અપાયેલો છે. 4થી વધુ મહિના સુપર સ્ટ્રકચરની કામગીરી ચાલશે. સુપર સ્ટ્રકચર સિવાયની કામગીરી કરવાની હશે ત્યારે ત્રણ માસ વાહન વ્યવહાર તુટક તુટક બ્રિજ પરથી ચાલુ રહેશે. પરંતુ ચાર માસથી વધુ સમયની કામગીરી દરમિયાન બ્રિજ પરથી વાહન વ્યવહાર ફરજ્યાત બંધ રાખવાનો રહેશે. આ વિસ્તારમાં સંખ્યાબંધ ટેક્સટાઈલ માર્કેટ આવી હોવા ઉપરાંત રેલવે સ્ટેશન જવા માટે પણ હજારો લોકો આ રોડનો જ ઉપયોગ કરી રહ્યાં છે. જેથી બ્રિજ બંધ કરાયા બાદ બ્રિજ નીચે રીંગરોડ પર ટ્રાફિકની સમસ્યા વકરશે. હાલમાં પણ રીંગરોડ પર માર્કેટ બહાર દબાણ અને પાર્કિંગ થતું હોવાથી ટ્રાફિક સમસ્યા રહે છે. બ્રિજ બંધ કરી રોડ પર ટ્રાફિક ડાઈવર્ટ કરાશે ત્યારે આ સમસ્યા વધુ વિકરાળ બની જશે.