Surat : માત્ર 7 હજાર રૂપિયા માટે માસુમ બાળકનું અપહરણ કરી હત્યા

ભટારમાં રહેતા પિતાએ પડોશી પાસેથી ઉછીની 7 હજારની રકમ લીધી અને તે રકમ આપી ન શકતા પડોશીએ બદલો લેવા માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરી લાશ શેરડીના ખેતરમાં ફેંકી દીધી હતી. આ હત્યામાં ખટોદરા પોલીસે હત્યારા એવા પડોશી અને તેના એક મિત્રને પકડી પાડયા છે.
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખોડીયાર નગરમાં રહેતા અને કલરકામ કરતા કિશન સહાનીનો 9 વર્ષનો પુત્ર આકાશ શુકવારે સાંજે ઘરની બહાર રમતો હતો. તે વખતે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ આકાશને બાઇક પર બેસાડી પોતાની સાથે લઇ ગયો હતો. આકાશ કરણને ઓળખતો હાેવાથી તેના કહેવાથી તેની સાથે જવા તૈયાર થઇ ગયો હતો. કરણ ચૌહાણ બાળકને પહેલા ઓલપાડ-સાયણ રોડ પર રહેતા તેના મિત્ર બરકતઅલીના ઘરે લઈ ગયો હતો. જ્યાં બરકતઅલીને અઠવાડિયાનું રાશનનું સામાન આપ્યું હતું. બાદમાં કરણ તેના મિત્ર બરકતઅલી સાથે બાળકને બાઇક પર બેસાડી મોડી રાત્રે ઓલપાડ-સાયણ રોડ પર લઈ ગયા હતા. જ્યાં બંને હત્યારાઓએ પહેલાં બાળકને માર માર્યો પછી તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. આકાશની લાશને શેરડીના ખેતરમાં ફેંકી કરણ ઘરે આવી ગયો હતો. અપહરણ કર્યાના દોઢ-બે કલાકમાં બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખટોદરા પોલીસે મોડીરાત્રે પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ અને તેના એક મિત્ર બરકતઅલીને ઊંચકી લાવી પૂછપરછ કરી છતાં કઇ જાણતા ન હોવાનું રટણ કર્યુ હતું. સવારે પોલીસે પાછી તેની કડક હાથે પૂછપરછ કરી હતી.જેમાં બંને આરોપી ભાંગી પડયા હતા અને બાળકની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ખટોદરા પોલીસ બંને હત્યારાઓ તથા બાળકને પિતાને લઈ ઓલપાડ-સાયણ રોડ પર શેરડીના ખેતરમાં શોધવા માટે ગઈ હતી. જ્યાં ખેતરમાંથી માસુમ આકાશનો મૃતદેહ મળ્યો હતો. ખટોદરા પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમજ ક્રાઇમબ્રાંચે બાળકની શોધખોળ કરી હતી. તે છતાં માસમુના કોઈ વાવડ મળ્યા ન હતા. પોલીસે જણાવ્યું કે બાળકના પિતાની માતાનું લોકડાઉન વખતે અવસાન થયું હતું. તે વખતે વતન જવા માટે પડોશી કરણ ઉર્ફે આદિત્ય પાસેથી 7 હજારની રકમ ઉછીની લીધી હતી. આ રકમ બાબતે15 દિવસ પહેલા પડોશી અને બાળકના પિતાની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જેના કારણે 7 હજારની રકમનો બદલો લેવા પડોશી હત્યારા કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણ એ તેના મિત્ર બરકતઅલી ઉર્ફે સોનુ રહેમતઅલી સાથે બાળકની હત્યા કરી નાખી હતી.
હાલમાં બંને હત્યારાઓને ખટોદરા પોલીસે પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરીછે. બંનેે હત્યારાઓ ભટાર ખોડીયારનગરમાં રહેતા હતા અને કલરકામ કરે છે. બે દિવસ પહેલા બરકતઅલી સાયણરોડ પર કલરનું કામ મળતા ત્યાં રહેવા ગયો હતો. મૃતક બાળકના પિતાએ કહ્યુ હતુ કે, મારો દીકરો શુકવારે રાત્રે 8 વાગ્યાથી ગાયબ થઈ ગયો હતો. અમે શોધખોળ કરી છતાં પતો મળતો ન હતો. પછી મેં મારા પડોશી કરણ ઉર્ફે આદિત્ય ચૌહાણનો કોન્ટેક્ટ કર્યો.જો કે તેણે હમણાં આવું છું, કહી છેક રાત્રે 12 વાગ્યે આવ્યો હતો. મને તેના પર શંકા હતી. રાત્રે કરણની પોલીસે પૂછપરછ કરી છતાં તે કંઈ બોલતો ન હતો. મારો દીકરો એટલો હોંશિયાર હતો કે તે ખોડીયારનગર છોડીને કોઈ જગ્યાએ જતો ન હતો. બાળકનું અપહરણ થયું પછી બે કલાક સુધી પરિવાજનોએ શોધખોળ કરી છતાં કોઈ વાવડ ન મળતા ખટોદરા પોલીસ સ્ટેશને આવ્યા હતા. ખટોદરા પોલીસે બાળકની અપહરણની ઘટનાને ગંભીરતાથી લઈ આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી હતી. જેમાં કેમેરામાં બાળકને બાઈક પર બેસાડી એક શખ્સ જતો દેખાય છે. આથી પોલીસે બાળકના પિતાને ફૂટેજ બતાવતા તેણે પડોશી હોવાની વાત કરી અને આખા મામલાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.