કેન્દ્રીય ગૃહમંત્રાલયનું નોટિફિકેશન - જમ્મુ કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

કેન્દ્રીય ગૃહમંત્રાલયનું નોટિફિકેશન - જમ્મુ કાશ્મીરમાં કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

જમ્મુ - કાશ્મીરમાંથી ગત વર્ષે કલમ 370 હટાવ્યા બાદ આજે ગૃહમંત્રાલય દ્રારા નોટિફિકેશન જાહેર કરાયું છે જેમાં હવે દેશની કોઈપણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નવી સૂચના મુજબ જોકે ખેતીની જમીન પર હજુ પ્રતિબંધ ચાલુ રહેશે. જમ્મુ- કાશ્મીરના ઉપ રાજયપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે બહારની ઈન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે જેને લઇ ઈન્ડસ્ટ્રિયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈપણ વ્યક્તિ જમ્મુ - કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે. અગાઉ જમ્મુ - કાશ્મીરમાં ફ્ક્ત સ્થાનિક રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા પરંતુ હવે બહારના લોકો પણ ત્યાં જમીન ખરીદીને ત્યાં જ પોતાનું કામકાજ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્રારા આ નિર્ણય જમ્મુ - કશ્મીર પુનર્રચના કાયદા હેઠળ લીધો છે જે અંતર્ગત કોઈપણ ભારતીય હવે જમ્મુ - કાશ્મીરમાં કોઈ ફેક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.
જમ્મુ - કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ તા.31 ઓક્ટોબર 2019ના રોજ જમ્મુ - કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યાને 1 વર્ષ પૂર્ણ થયું છે ત્યારે જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.