કૃષી કાયદામાં જોગવાઈઓ બદલવાના બદલે કાયદો રદ્દ કરો - અર્થશાસ્ત્રીઓએ કૃષિમંત્રીને લખ્યો પત્ર

કૃષી કાયદામાં જોગવાઈઓ બદલવાના બદલે કાયદો રદ્દ કરો - અર્થશાસ્ત્રીઓએ કૃષિમંત્રીને લખ્યો પત્ર

દિલ્હીમાં ચાલી રહેલા કૃષી બીલના વિરોધમાં ખેડૂત આંદોલનને લઇ દિલ્હીમાં વસતા ટોચના કેટલાક અર્થશાસ્ત્રીએાએ કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમરને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાની અમુક જોગવાઇઓ બદલવાથી કશું નહીં વળે તેના બદલે કૃષિ કાયદા રદ કરી દો એ જ બહેતર વિકલ્પ રહેશે. આ કાયદા નાના અને સીમાંત ખેડૂતોના હિતમાં નથી. આ પત્ર લખનારા સંગઠનમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રુરલ ડેવલપમેન્ટના અધ્યક્ષ ડી.નરસિંહા રેડ્ડીએ એ પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે કૃષિ માર્કેટિંગ સિસ્ટમમાં ફેરફાર જરૂરી છે એ વાત સાચી પરંતુ તમે ઘડેલા કાયદા એ જરૂરિયાત પૂરી કરતા નથી.
અર્થશાસ્ત્રીઓએ એવો પોતાનો અભિપ્રાય આપતા લખ્યું હતું કે સરકારે ખોટી માન્યતાઓ ઉપર આધારિત કાયદા ઘડ્યા હતા. અર્થશાસ્ત્રીઓએ કાયડો નાના અને સીમાંત ખેડૂતોને નુકસાનકારક કઈ રીતે છે એ હકીકતના 5 મુદ્દા દ્વારા રજુ કર્યા હતા.
1, આ કાયદા ઘડીને કેન્દ્ર સરકારે સમવાય તંત્રના નિયમનો ભંગ કરીને રાજ્યોની ઉપેક્ષા કરી હતી.
2, આ કાયદાથી રાજ્યોની ભૂમિકા ઓછી થઇ જાય છે અને નાનકડા ખેડૂતો માર્યા જાય છે.
3, રાજ્યોમાં જે મંડી હતી એ યોગ્ય હતી,
4, મંડી બજારો કેન્દ્રના અંકુશ હેઠળ આવે એટલે મોટા વેપારીઓને જ લાભ થાય.
5, નાના અને સીમાંત ખેડૂતોના માલના વેચાણમાં રાજ્યો વધુ સારી રીતે બંદોબસ્ત કરી શકતા હતા જે કેન્દ્ર સરકારના અંકુશ હેઠળનાં બજારોમાં શક્ય નહીં બને.