ગુજરાતમાં કોરોને એવી વિકરાળ રૂપ ધારણ કર્યું છે કે કોરોનાને કારણે અમદાવાદ અને સુરતની સ્થિતિ ભયાનક બની રહી છે જેમાં હવે મોટી મોટી હોસ્પિટલમાં પણ બેડ ફુલ થઈ ગયાં છે. આ વખતે કોરોના સંક્રમણના દર્દીઓમાં નાના - મોટા દરેક છે ત્યારે હવે તેમને ક્યાં દાખલ કરવા એ મોટો યશ પ્રશ્ન છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં સતત કેસ વધતાં એમ્બ્યુલન્સને વેઈટિંગમાં ઊભી રાખવી પડે છે.
અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના વધતા કેસને લઇ અમદાવાદ સિવિલની 1200 બેડની હોસ્પિટલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં 15 થી વધુ એમ્બ્યુલન્સ વેઇટિંગમાં ઉભી દેખાઈ રહ્યાં છે ત્યારે આ ભયાવહ સ્થિતિ એવી છે કે દર્દીઓ એમ્બ્યુલન્સમાંથી બહાર ઊતરે ત્યારે કયો બેડ આપવો એ માટે હોસ્પિટલ તંત્ર ચિંતામાં છે. સુરતમાં પણ આવી જ પરિસ્થિતિ છે ત્યારે સિવિલ કેમ્પસની હોસ્પિટલમાં હવે ધીમે ધીમે બેડ ભરાઈ રહ્યાં છે જેને કારણે હવે નવા દર્દી માટે શું કરવું એ ચિતાનો વિષય બન્યો છે. અમદાવાદની ભયાનક સ્થતિને લઇ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે.
રાજ્યની મોટી સિવિલ હોસ્પિટલમાં ડેડબોડીઓ મોટી સંખ્યામાં બહાર નીકળી રહી છે ત્યારે મૃતકોનાં સ્વજનો કહેતાં નજરે પડે છે કે હજી રાત્રે તો દર્દી સાથે વાત થઈ છે અને સવારે અમને ફોન આવ્યો કે તમારા સ્વજનનું મોત થયું છે. બીજી તરફ ડેડબોડી નિકાલ કરવા એક એમ્બ્યુલન્સ બહાર જાય અને બીજી તૈયાર રાખવામાં આવે છે. આ દૃશ્ય ભયાનકતાની ચાડી ખાતું હતું સુરતમાં ગઈકાલે અશ્વનીકુમાર સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે કલાકોના વેઇટિંગ છે જેને લઇ 22 ડેથ બોડી પતરાના શેડમાં મુકવામાં આવી હતી તો આજે જહાંગીરપુરા ખાતે આવેલ સ્મશાનમાં રાતભર ડેથ બોડીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તો અન્ય સ્મશાનોની પણ આવી જ પરિસ્થિતિ હોઈ 4 ડેથ બોડીને બારડોલી ખાતે સમશાનમાં લઇ જવાય હતી.
અમદાવાની 1200 બેડની હોસ્પિટલ પાછળ કોવિડ ડેડબોડી સોંપવામાં આવતી હતી જ્યાં સતત સ્વજનો આવતાં હતાં. ડેડબોડીનું વેઈટિંગ ખૂબ ચિંતાજનક હતું. ડેડબોડી મળ્યા બાદ સ્મશાને તો લઈ જાય પરંતુ ત્યાં પણ વેઈટિંગ જોવા મળ્યું હતું.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે ત્યારે પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. અમદાવાદ અને સુરતમાં કેસો વધી રહ્યા છે જો આજ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં તમામ હોસ્પિટલ પણ ફુલ થઈ જશે અને ખુબ જ વિકટ પરિસ્થિતિનું નિર્માણ થશે. હાલ કોરોનાને કાબૂમાં લેવા અને દર્દીઓની સારવાર માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેની સામે કોરોનાને કારણે થતાં મોતના આંકડા ગંભીર રીતે વધી રહ્યા છે જેને લઇ આજે સુરત ખાતે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડક કાર્યવાહી હાથ ધરવા 8 એસઆરપીની ટુકડી આવી પહોંચી છે આમ સુરતનું પાલિકા તંત્ર અને પોલીસ હવે લોકો પાસે કડકાઈથી કોરોના ગાઈડલાઇનનું પાલન કરાવશે.