ભારત આઝાદ છે પરંતુ ગુજરાતના લોકો કેદમાં - ખેડૂત નેતા રાકેશ ટિકૈત

ભારત આઝાદ છે પરંતુ ગુજરાતના લોકો કેદમાં - ખેડૂત નેતા રાકેશ ટિકૈત

દેશમાં કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત આંદોલનને 79 દિવસ થઈ ગયા છે પરંતુ હજી કોઈ ઉકેલ દેખાતો નથી. ભારતીય કિશાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે કૃષિ કાયદા પાછા ખેંચવાની માગને લઇ કેન્દ્ર સરકારને આડે હાથે લીધી હતી.
હરિયાણામાં બહાદુરગઢમાં કિસાન મહાપંચાયતમાં તેમણે કહ્યું હતું કે દેશભરમાં રેલી કાઢવામાં આવશે. રાકેશ ટિકૈતે ગુજરાતને લઈ કહ્યું હતું કે ગુજરાત જઈને તેને આઝાદ કરાશે. ગુજરાત કેન્દ્રના અંકુશમાં છે. ભારત આઝાદ છે પણ ગુજરાતના લોકો કેદમાં છે. જો તેઓ આંદોલનમાં સામેલ થવા માગે તો તેમને જેલમાં મોકલવામાં આવે છે.
રાકેશે ટિકૈતે કહ્યું હતું કે હવે કૃષિ કાયદા પાછા ખેંચાય ત્યાર બાદ જ ઘરે પરત ફરીશું. અમારો મંચ અને પંચ બદલાશે નહીં. સિંધુ બોર્ડર અમારી ઓફિસ બનેલી રહેશે. જો સરકાર આજે વાત કરવા ઈચ્છે છે તો પણ અમે તૈયાર છીએ, જો 10 દિવસ બાદ અથવા આગામી વર્ષે પણ વાતચીત કરવા ઈચ્છે છે તો અમે તૈયાર છીએ. અમે દિલ્હીમાં કિલ્લા ઉખાડ્યા વગર પરત ફરીશું નહીં. આકરી ઠંડીનો સામનો કર્યા બાદ આંદોલનકારી ખેડૂતો હવે ગરમીની સીઝનને જોતાં તૈયારી શરૂ કરી રહ્યા છે. તેમણે ટેન્ટમાં પંખા લગાવવાની શરૂઆત કરી છે. સાથે ટેન્ટની ઊંચાઈ વધારીને તેની અંદર વધુ એક ટેન્ટ લગાવી રહ્યા છે જેથી ગરમીથી બચી શકાય સાથે જ ધરણાં સ્થળો પર AC લાગેલી ટ્રોલીઓ પણ જોવા મળી રહી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત કહી ચૂક્યા છે કે આંદોલન ઓછામાં ઓછું ઓક્ટોબર સુધી તો ચાલશે.
કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોનો મુદ્દો ઉઠાવતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ટીકા કરી કરતા કહ્યું હતું કે દેશને ચાર લોકો ચલાવી રહ્યા છે. અમે બે અને અમારા બે. રાહુલ ગાંધીના આ નિવેદન અંગે ટિકૈતે શુક્રવારે કહ્યું હતું કે ખરેખર એવું જ લાગી રહ્યું છે કે દેશને 4 લોકો જ ચલાવી રહ્યા છે.