ભાવનગર : સરદાર નગર ખાતે નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરાઈ

ભાવનગર શહેરના સરદાર નગર ખાતે આવેલી ઓમ સેવા ધામમાં સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાનોને પણ શરમાવે તેવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને 80-90 ની ઉંમર વટાવી ચૂકેલા વડીલોએ ભારે ઉત્સાહ સાથે આદ્યશક્તિની આરાધનાના ભાગરૂપે ગરબે રમ્યા હતા.
આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિનું પર્વ, નવરાત્રિના નવ દિવસ દરમિયાન માઇભકતો આદ્યશક્તિની જુદી જુદી રીતે આરાધના- ઉપાસના કરતા હોય છે. તેમજ લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ ગરબાના તાલે રમી અને ગરબાનો આનંદ માણતા હોય છે. હાલ સરકાર દ્વારા કોરોનાની મહામારીને લીધે બે વર્ષ બાદ શરતોને આધીન શેરીગરબા માટેનું મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ભાવનગર શહેરના સરદાર નગર ખાતે આવેલી ઓમ સેવાધામ સંસ્થા ખાતે પણ સંસ્થાના વડીલો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવક યુવતીઓની જેમ આ સંસ્થામાં રહેતા વડીલો પણ ગરબે રમી શકે તે માટે સંસ્થાના સંચાલક વિજયભાઇ કંડોળીયા તેમજ તેમની ટીમ દ્વારા વડીલોને ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર કરી અને ગરબાના તાલે ગરબા લઇ શકે તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. યુવા વર્ગને પણ શરમાવે તેવા રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને 80- 90 ને વટાવી તૂટેલા વડીલો ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા અને તેમના બાળપણના દિવસોને યાદ કર્યા હતા અને માતાજી પ્રત્યે નો ભાવ વ્યક્ત કર્યો હતો.