જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી ત્યાં અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણ માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉતરાયણથી દાન એકત્ર કરવાનું શરૂ કરાયું છે ત્યારે આજે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર નિર્માણ માટે સૌ પ્રથમ 50,00,100 રુપિયાનો ચેક આઈ લીલીઝંડી આપી હતી. ત્યારબાદ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે 11 લાખ રુપિયા - મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 1 લાખનો ચેક - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનાએ 1 કરોડ રુપિયા અને મોરારી બાપૂએ 11 કરોડ રુપિયાનું દાન કર્યું છે.
દેશભરમાં શરુ થયેલ દાન એકત્ર કરવાના અભિયાનમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ - બિલ્ડર અને રાજકીય નેતાઓએ પણ દાનના ચેક આપયા હતા જેમાં સૌથી મોટું દાન હીરાના વેપારી અને શ્રીરામ મંદિર નિધિ સમર્પણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ ગોવિદભાઈ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું. જે દાન ગોવિંદભાઈ ધોળકિયાએ વિશ્વ હિન્દુ પરિષદની ઓફીસે અર્પણ કર્યું હતું. ગોવિંદભાઈ ધોળકીયા વર્ષોથી આરએસએસ સાથે સંકળાયેલા છે.
ગોવિંદભાઈ ધોળકિયા સિવાય સુરતના મહેશ કબુતરવાલાએ રૂા.5 કરોડ, લવજીભાઈ બાદશાહે રૂા.1 કરોડનું દાન, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી માધવ પ્રિયદાસજી દ્વારા મંદિરના નિર્માણ કાર્ય માટે 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. શંકરભાઇ પટેલે 51 લાખનું અને દિલીપભાઇ પટેલે 21 લાખનું દાન કર્યું છે. ધારાસભ્ય બાબુ જમના પટેલે 11 લાખ રૂપિયાનું દાન કર્યું, ન્યૂ ક્લોથ માર્કેટના ગૌરાંગ ભગતે 11 લાખ આપ્યા છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયા દ્વારા 5 લાખનું દાન આપ્યું છે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1 લાખ 11 હજાર 111નું દાન રામમંદિરના નિર્માણ માટે આપ્યું છે. ગુજરાતના કેટલાક વેપારીઓએ રામમંદિર માટે રૂા.5 લાખથી 21 લાખનું દાન રામમંદિર નિર્માણ માટે આપ્યું છે. રામ મંદિર નિર્માણ માટે દાન ભેગુ કરવાનું અભિયાન આજથી શરુ થઈ ગયું છે. આ અભિયાન હેઠળ 5 લાખ ગામોના 12 કરોડથી વધારે પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે. મંદિર બનાવવા માટે દાન ભેગુ કરવાનું કામ તા.27 ફેબ્રુઆરી સુધી ચાલશે. અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદુ પરિષદના લોકોનું સમર્પણ અને સહયોગ રાશી મળશે. આ દરમિયાન 10 રુપિયા, 100 રુપિયાના કૂપન રહેશે. ત્યારે 2 હજારથી વધારે સહયોગ કરનારને રસીદ આપવામાં આવશે. આ ડોનેશનના માધ્યમથી અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કાર્ય કરવામાં આવશે.