સુરત પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું - રાત્રિ કર્ફ્યુંની માર્ગદર્શિકા જાહેર કરી

દેશભરમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સુરત શહેરમાં તા.21 મીથી રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે જે સંદર્ભે સુરત પોલિસ કમિશનર અજય તોમરે આજે પત્રકાર પરિષદ કરી એક જાહેરનામું બહાર પાડી રાત્રિ કર્ફ્યુંની માર્ગદર્શિકા જાહેર કરી છે.
સુરત શહેરમાં દિવાળી તહેવારના સમયમાં બજારોમાં ખૂબ જ ભીડ જોવા મળી હતી તેમજ હરવા ફરવાના સ્થળોએ તેમજ ખાણી પીણીના સ્થળો પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોવાથી ઠંડીના કારણે કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને હિતમાં તા.21 થી 22 નવે.થી રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન તેમજ આવનાર દિવસોમાં જાહેરાત કે બીજો હુકમ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત સમય મુજબ રાત્રિ કર્ફ્યું જારી રહેશે. આ સમય દરમિયાન સુરત શહેરના રહેવાસીઓને પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઇપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં બેસવા, ઉભા રહેવા, પગપાળા કે વાહનોમાં અવરજવર કરવા ઉપર પૂર્ણ પ્રતિબંધ છે. તેમજ અમુક સંસ્થાઓ - તબીબો તેમજ નીચે જણાવેલ સેવાઓ સાથે સંકળાયેલ વ્યકિતઓ/સંસ્થાઓને ઉપરોકત હુકમ પાલનમાંથી ગાઇડલાઇનને અનુસરીને મુક્તિ આપવામાં આવે છે.
1) જાહેર ઉપયોગિતા જેવી કે, પેટ્રોલિયમ સી.એન.જી, એલ.પી.જી, પી.એન.જી, પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલિકોમ્યુનિકેશન સર્વિસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સીઓને છૂટ મળશે।
2) પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સરંક્ષણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, જેલો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આવશ્યક સેવાઓને છૂટ છે
3) જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સેવાઓ તથા ઇ કોમર્સ દ્વારા, ફાર્માસ્યુટિકલ હોમ ડિલીવરીને છૂટ છે
4) દૂધ વિતરણને મુક્તિ છે
5) ઈલેકટ્રોનિક મિડીયા અને પ્રિન્ટ મિડીયા ( માહિતી ખાતા દ્વારા માન્યતાપ્રાપ્ત)ને છૂટ છે
6) ખાનગી સિકયુરીટી સેવાઓ
7) આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટિકલ તથા જે ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરૂર પડે છે.
8) અંતિમ સંસ્કારના કિસ્સામાં ૨૦ (વીસ) જેટલા વ્યક્તિઓ એકઠા થઇ શકે તે રીતે પરવાનગી આપી શકાશે.
9) લગ્નપ્રસંગમાં સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી
10) રેલવે અને એરપોર્ટ પર માલસામાનની હેરફેર માટેની પ્રવૃતિઓ
11) રેલવે અને હવાઈમાર્ગ અવર-જવર કરનાર મુસાફરોને લેવા તથા મુકવા માટે માન્ય ટિકિટ રજુ કર્યેથી મંજૂરી જે માટે ટેક્સી તથા રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે।
12) બહારગામથી લાંબી મુસાફરી કરી સુરત શહેરમાં આવતા મુસાફરોએ પોતાની પાસે રહેલી ટોલટેકસ રસીદ તથા અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે.
13) એ.ટી.એમ.બેન્કિંગ ઓપરેશનના આઈ.ટી.વેન્ડરો સહીત એ.ટી,એમ.ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ.
14) તમામ પ્રકારના માલસામાનનું પરિવહન.
15) NIC Scientist-B, CGL Tier-3, CSIR NET Exam, CA, SSC  વગેરે અન્ય માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર/ ઓળખપત્રના આધારે લેવા તથા મુકવા જવા માટેની મંજુરી
16) કેન્દ્ર તથા ગુજરાત સરકારના વખતો વખતના સુધારા આદેશોને અધીન અપવાદો।
17) પોલીસ કમિશ્નરશ્રી તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા જવા માટે ખાસ પરવાનો આપવામાં આવ્યો તેવા વ્યકિતઓને છૂટ આપવામાં આવી છે તેમજ ઉપરોકત તમામ પરવાનગી દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સીગ, ફેસ માસ્ક, હેન્ડ સેનેટાઈઝેશન વિગેરે સંબંધમાં કોવિડ-૧૯ની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે સાથે જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


News Of Gujarat #S9news #GujaratNews #Surat www.s9news.com