Jamnagar : લાલપુર બાયપાસ નજીક બની ફાયરિંગની ઘટના

જામનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતા ઓપરેશન જયેશ પટેલ વચ્ચે દિનદહાળે ફાયરીંગની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. ફાયરીંગનો બનાવ અને જયેશ પટેલ સાથેનો સેતુ પણ મળતો હોવાથી સ્પેશીયલ ઓપરેશન ચલાવી રહેલ પોલીસની આબરૂનું પણ વસ્ત્રાહરણ થયું છે. ભોગગ્રસ્ત બિલ્ડર ટીના પેઢડીયાને જયેશ પટેલે અઢી વર્ષ પૂર્વે ફોન કરી ધમકી આપી હતી ત્યારબાદ તેના પર ફાયરીંગ થતા પ્રથમ દ્રીષ્ટએ શંકાની સોઇ જયેશ પટેલ પર ટાંકવામાં આવી છે. બીજી તરફ ફાયરીંગ કરી નાશી ગયેલા આરોપીઓના સગડ મેળવવા પોલીસે શહેર સહિત ધોરીમાર્ગ પર નાકાબંધી કરી છે તો બીજી તરફ સીસી ટીવીમાં આરોપીઓ દેખાઇ ગયા હોવાની અને ઓળખવિધિ હાથ ધરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી છે અને પોલીસની મિલીભગત વચ્ચે ખૌફ ઉભો થયો છે અને ભયનું વાતાવરણ નિર્માણ પામ્યું છે. એમ રાજયસભાના સાંસદ દ્વારા કરવામાં આવેલા ટવીટ બાદ સરકારે ઓપરેશન જયેશ પટેલ પાર પાડવા ક્રાઇમ બ્રાન્ચનો બહોળો અનુભવ ધરાવતા જાંબાઝ એસ.પી. દિપન ભદ્રન અને તેની ટીમની નિમણુંક કરી હતી. શરૂઆતમાં આ ટીમ દ્વારા ગુપ્તરાહે તપાસ ચલાવી જયેશ પટેલના નેટવર્કને ખતમ કરવા ગુજસીટોક સહિતના કાયદાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરમ્યાન આ પ્રકરણ ઓચીંતુ વિસરાઇ જતા ફરી વખત ખૌફનું વાતાવરણ ઉભુ થયું હોય તેવો તાલ આજે સર્જાયો છે. આજે સવારે યુવાપાર્ક-2માં રહેતા જયસુખ ઉર્ફે ટીનાભાઇ પેઢડીયા નામના બિલ્ડર પોતાના નવા બંધાતા મકાનની સાઇટ પર પહોંચ્યા ત્યાં જ પાછળથી આવેલા ચાર શખ્સો પૈકીના એક શખ્સે ફાયરીંગ કર્યુ હતું. જેમા ટીના પેઢડીયાને મોઢાના ભાગે એક ગોળી વાગી હતી. અચાનક સવારમાંથી ગોળીઓ છુટતા યુવાપાર્કમાં ભયનું વાતાવરણ ઉભુ થયું હતું અને દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાના પગલે ઘવાયેલા ટીનાભાઇને તાત્કાલિક જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયારે ઘટનાની જાણ થતા એસ.પી.દિપન ભદ્રન, એ.એસ.પી.નિતેષ પાંડે, એલસીબી અને એસઓજીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે ઘટના સ્થળનું નિરિક્ષણ કરી રોજપંચકામ કરતા પૂર્વે શહેર-જિલ્લામાં નાકાબંધી ગોઠવી નાશી ગયેલા આરોપીઓને પકડી પાડવા કવાયત શરૂ કરી હતી. ઘટના સ્થળ નજીકથી પોલીસે સીસી ટીવી કબ્જે કર્યા હોવાની અને આ સીસી ટીવીમાં ચાર આરોપીઓ દેખાયા હોવાની વિગતો સામે આવી છે. પોલીસે આ શખ્સોની ઓળખવિધિ માટે તપાસ હાથ ધરી છે. જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે લાગેલા કિરીટ જોષી હત્યા પ્રકરણના આરોપ બાદ જયેશે ટીના પેઢડીયાને ફોન કરી ટાટીયા ભાગી નાખવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસની આ ધમકી અને હાલના ફાયરીંગ વચ્ચે સંબંધ છે કે કેમ તેનો તાગ મેળવવા તેમજ ફરિયાદ નોંધાવા સહિતની તજવીજ હાથ ધરી છે. વધુ એક વખત જયેશ પટેલનું નામ ચર્ચામાં આવતા હાલ રાજયભરમાં જાંબાઝ ગણાતી જામનગર પોલીસની પરદા પાછળ કીરકીરી થઇ રહી છે