Rajpipla : પ્રાકૃતિક ખેતી વિષયક દ્વિદિવસીય વિચાર ગોષ્ઠિનો પ્રારંભ

ગાય માતા પ્રાકૃતિક ખેતીનો મૂળ આધાર છે તેવી લાગણી વ્યક્ત કરતાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અને ગાયોનો ઉછેર એ ભારતીય સંસ્કૃતિની વિચારધારા સાથે સુસંગત ઈશ્વરીય કાર્ય છે તેમણે ગુજરાતના ખેડૂતો આ બંને આયામો સાથે ખૂબ મોટા પ્રમાણમાં જોડાય એવો અનુરોધ કરતા કહ્યું કે, તેનાથી સમાજને વ્યાપક લાભો થશે. તેમણે પ્રાકૃતિક ખેતી અને ગૌપાલનને રાજ્યમાં જન અભિયાન બનાવવાની હિમાયત કરવાની સાથે રાજ્ય સરકારના આ બંને બાબતોને પ્રોત્સાહિત કરતા અભિગમ માટે મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારને ધન્યવાદ આપ્યા હતા.
પ.પૂ.સંતશ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીજીના આશિર્વાદથી અને સંતશ્રી કૈવલ સ્વામીજી, શ્રીજી ચરણ સ્વામીજી, ચૈતન્ય સ્વરૂપ સ્વામીજી, મુખ્ય સંયોજક પ્રફુલભાઇ સેજલિયા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સંયોજકોસહસંયોજકો અને પ્રગતિશીલ ખેડૂત ભાઇ-બહેનોની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પોઇચા નિલકંઠધામ ખાતે આજથી યોજાયેલી દ્વિદિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક “વિચાર ગોષ્ઠિ” ને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ સાથે સંલગ્ન રાજ્યના તમામ જિલ્લાના સંયોજક, સહ-સંયોજક અને કન્વિનરોની “વિચાર ગોષ્ઠિ” નો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત સરકારે ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરવા ગયા વર્ષે ૧.૦૫ લાખ ખેડૂત લાભાર્થીઓને દેશી ઓલાદની ગાયો આપી તેનો ઉલ્લેખ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આગામી વર્ષમાં બે લાખ ખેડૂતોને દેશી ઓલાદની ગાયો આપવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે.તેની સાથે મુખ્યમંત્રી પ્રેરિત સાત પગલાં કિસાન કલ્યાણના આયોજન હેઠળ દેશી ગાય પાલક ખેડૂતોને મહિને રૂ.૯૦૦/- નો નિભાવ ખર્ચ આપવાની યોજના પણ આ અભિયાનને વેગ આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આગામી વર્ષમાં ૨ લાખથી પણ વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તેમ જણાવી વડાપ્રધાનના આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં સરકાર કટિબધ્ધ છે અને ગુજરાત સમગ્ર દેશ માટે આ દિશામાં અગ્રેસર રહેશે તેવી પ્રતિબધ્ધતા પણ રાજ્યપાલશ્રીએ વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ એક ઇશ્વરીય કાર્ય છે. રાજ્ય સરકારના સહયોગથી પ્રત્યેક જિલ્લાના એક ગામને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મોડેલ વિલેજ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં આ વિષયને આવરી લેતો માર્ગદર્શક ખેડૂત સંવાદ યોજવાનું આયોજન છે. તેમણે સંકેત આપ્યો કે રાજ્ય સરકાર ગાય આધારિત કુદરતી ખેતીના ઉત્પાદનો માટે વળતરયુક્ત બજાર વ્યવસ્થા ગોઠવવાની દિશામાં પગલાં લઈ રહી છે અને રાજ્યની ઓર્ગેનિક યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી વિભાગ શરૂ કરવાની વિચારણા છે.