Surat : 9 વર્ષના વિદ્યાર્થીએ પીએમ મોદીનો કેનવાસ પર બનાવ્યો સ્કેચ

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 9 વર્ષના વિદ્યાર્થી પાર્થ ગાંધીએ પીએમ મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. ત્યારબાદ તેને મોદીને મોકલ્યો હતો. મોદીને સ્કેચ મળ્યા બાદ પાર્થને પત્ર લખ્યો હતો. જેમાં મોદીએ પાર્થના સ્કેચની પ્રશંસા કરી હતી.
મહિધરપુરા વિસ્તારમાં ગાંધી પરિવાર રહે છે. કોરોનાના મહામારીને લઈને બાળકો ઘરે જ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ ગાંધી પરિવારના 9 વર્ષના પાર્થે લોકડાઉનમાં સ્કેચમાં હાથ અજમાવ્યો હતો. જેમાં સફળતા મળી હતી અને પાર્થે વડાપ્રધાન મોદીનો કેનવાસ પર સ્કેચ બનાવ્યો હતો. દીકરાના સ્કેચને જોઈને પરિવાર પણ ખુશ થઈ ગયું હતું અને સોસાયટીમાં પણ બતાવતા પ્રશંસા કરાઈ હતી. પાર્થે બનાવેલા સ્કેચને જોઈને પાડોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કેચને મોકલવા પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ સ્કેચને વડાપ્રધાન મોદીને મોકલવામાં આવ્યું હતું. સ્કેચ મળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્થને એક પત્ર લખ્યો હતો. જેમાં પાર્થની પ્રશંસા કરતા મોદીએ લખ્યું હતું કે, તમારી પાસે કેનવાસ પર કલ્પનાઓ મુકવાની અધભૂત ક્ષમતા છે. તમે ભવિષ્યમાં સફળતાની નવી ઊંચાઈએ પહોંચશો. પાર્થે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ફ્રી ટાઈમ મળ્યો હતો. વિચાર આવ્યો કે વડાપ્રધાન મોદીનું પેઈન્ટિંગ બનાવું. જેથી સોશિયલ સાઈટ પરથી ફોટો લઈને તેના પરથી સ્કેચ બનાવ્યું છે. મારી ઉંમરના વિદ્યાર્થીઓને સંદેશો આપું છું કે, તમારો શોખ હોય તેમાં જ આગળ વધો. પાર્થે વડાપ્રધાન મોદી સહિત ઘણા સેલિબ્રિટીઓના પણ સ્કેચ બનાવ્યા છે. જે જોઈને લોકો પણ પ્રશંસા કરે છે. પાર્થ ગાંધીના પિતા મેહુલ ગાંધી લુમ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થે બનાવેલા સ્કેચની પ્રશંસા કરતા મોદીના પત્રને લઈને ગાંધી પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે. માતા નિમિષાએ જણાવ્યું હતું કે, પાર્થ કોઈ ક્લાસમાં ગયો નથી. તે આ બધુ તેની જાતે જ શીખી રહ્યો છે. સોશિયલ સાઈટ્સ પરથી શીખી ટૂલ્સ લાવવા કહે છે તે લાવી આપીએ છીએ. અમારા પરિવારમાંથી કોઈએ આવું કર્યું પણ નથી અને વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી હોવાથી ખૂબ જ ખુશી થાય છે. હાલ તો સુરતના મહિધરપુરાના ગાંધી પરિવારના ધોરણ 9ના વિદ્યાર્થીએ કરેલી અદભુત કામગીરીની વડાપ્રધાને પણ પ્રસંશા કરતા પરિવાર સાથે વિસ્તારના લોકોએ પણ તેને પ્રોત્સાહિત કર્યો હતો.