Surat : અડાજણમાં યુવકે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધો

અડાજણમાં યુવકે રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાધો હતો. યુવકની પત્ની બે દિવસથી તેના મિત્ર અને સંબંધી સાથે દમણ ફરવા ગઈ હતી દરમિયાન યુવકે આપઘાત કર્યો હતો. યુવકે ઘરમાં દિવાલ પર સુસાઈડ નોટમાં પત્નીના કારણે આપઘાત કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.
અડાજણ સરોજીની નાયડુ શાકમાર્કેટ સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા યાજ્ઞિક દિપકભાઈ ખલાસી હજીરામાં અદાણી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કસ્ટમ વિભાગમાં નોકરી કરતો હતો. પરિવારની જાણ બહાર તેણે ધર્મિષ્ઠા વિઠ્ઠલભાઈ કંથારીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. મંગળવારે ધર્મિષ્ઠા તેના મિત્ર અને સંબંધી તેમજ 2 વર્ષની પુત્રી સાથે દમણ ફરવા ગઈ હતી. સાંજે ધર્મિષ્ઠા પરત આવી ત્યારે યાજ્ઞિક ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. બનાવની જાણ થતા અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી તપાસ કરી હતી. જેમાં ધર્મિષ્ઠાએ ઘરનો દરવાજો બહારથી બંધ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે ધર્મિષ્ઠાની વાત પોલીસને ગળે ઉતરતી નથી. બીજી તરફ યાજ્ઞિકના પરિવારના સભ્યોએે તેના મોત અંગે શંકા વ્યકત કરતા પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં યાજ્ઞિકે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. તો મૃતક યાજ્ઞિકે આપઘાત કરતા પહેલા સ્ટેટસમાં જિંદગી બાય બાય લખ્યું હતું. તેમજ જે રૂમમાં આપઘાત કર્યો તે રૂમની દિવાલ પર ચોક જેવી વસ્તુથી મારી મોતનું કારણ ધર્મિષ્ઠા વિઠ્ઠલભાઈ કંથારીયા છે એટલે કે મારી વાઈફ. મુઝે ઈન્સાફ ચાહીએ એવી સ્યુસાઈડ નોટ પણ લખી હતી.
બીજી તરફ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું હતું કે, આશરે 36 થી 38 કલાક પહેલા મોત નિપજ્યું હોય તેવું મૃતદેહની સ્થિતી પરથી લાગી રહ્યું છે. મૃતકે પોતે ફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનુ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
વધુમાં યાજ્ઞિક અને તેની પત્ની વચ્ચે મનમેળ ન થતા ચાર દિવસ પહેલા જ છુટાછેડાની કાર્યવાહી હાથ ધરી હોવાની તેની પત્નીએ પોલીસ સમક્ષ કેફીયત વ્યકત કરી છે. જેથી છુટાછેડાના કારણે પણ હતાશ થઈ પગલું ભર્યુ હોવાની શક્યતાઓ વ્યકત કરાઈ રહી છે.