Surat : શ્રમજીવી પરિવારની બાળાને આઈસ્ક્રીમની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ

ગોડાદરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારની બાળાને આઈસ્ક્રીમની લાલચ આપી નરાધમ રાજસ્થાની ટેરેસ પર લઈ ગયો હતો જ્યાં બાળા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બનાવને લઈ પોલીસને જાણ કરતા પોલીસે નરાધમ રાજસ્થાની યુવાનને ઝડપી પાડ્યો હતો.
ગોડાદરા વિસ્તારમાં સોમવારે 19 વર્ષીય નરાધમે 11 વર્ષની બાળકીને આઈસ્ક્રીમની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો છે. મૂળ બિહારનો શ્રમજીવી પરિવાર ગોડાદરા વિસ્તારની માન સરોવર સોસાયટી પાસે રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ચાર સંતાન છે. તેમાં 11 વર્ષની એક દીકરી છે. તેઓ જે બિલ્ડિંગમાં રહે છે ત્યાં જ નીચે આરોપી રાજસ્થાની વિક્રમસિંહ જુવરાજસિંહ રાજપુત એકલો રહે છે અને એક ફેબ્રિકેશનની દુકાનમાં નોકરી કરે છે. સોમવારે મોડી સાંજે બાળકી ઘર પાસે રમતી હતી તે સમયે આરોપી વિક્રમસિંહે બાળકીને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી હતી. આઈસ્ક્રીમ ખરીદ્યા બાદ નરાધમ વિક્રમસિંહ બાળકીને આઈસ્ક્રીમ સાથે બિલ્ડિંગના છત પર લઈ ગયો હતો. ત્યાં વિક્રમસિંહે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. બાળકીએ બુમાબુમ કરતા તેણીનું મોઢું હાથથી બંધ કરીને કોઈને આ વાત કરી તો છત પરથી ફેકી દેવાની ધમકી આપી વિક્રમસિંહ નાસી ગયો હતો. બાળકીએ પોતાના ઘરે જઈને માતાને તમામ હકિકત જણાવી હતી. રાત્રે તેના પિતા નોકરી પરથી આવ્યા ત્યારે તેમને આ વાતની જાણ કરી હતી. મોડી રાત્રે પોલીસને જાણ કરી હતી. પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બાળકીનું મેડિકલ કરાવ્યું છે. આરોપી વિક્રમસિંહ મૂળ રાજસ્થાનનો હોવાની માહિતી મળી છે. પોલીસે તેને પકડી લીધો છે. અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.