ઉપલેટામાં શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને વિકલાંગતા સર્ટિફિકેટ કેમ્પનું ઉપલેટા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપલેટા, ધોરાજી, જેતપુર તેમજ જામકંડોરણા તાલુકાના દિવ્યાંગ લોકોને અને લાભાર્થીઓ લાભ મળી શકે તે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે એક સેવા યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લાભાર્થીઓને વિકલાંગતા સર્ટિફિકેટ, એસટી પાસ તથા વિકલાંગ સાધન સહાયના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા.
આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર માટે અનેકવિધ સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ થતી રહે છે ત્યારે આ અંગે ટ્રસ્ટના પ્રમુખ અને સેવાભાવી યુવાન એવા જયેશભાઈ ત્રિવેદીએ જણાવેલ કે જનસેવા અરજ પ્રભુસેવાના ભાગરૂપે પદ્મકુવરબા સરકારી હોસ્પિટલના સહયોગથી દિવ્યાંગોને સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું વિકલાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યું હતું અને આ કેમ્પ ઉપલેટા ખાતે યોજવામાં આવવાને કારણે દિવ્યાંગોની હાલની પરિસ્થિતિમાં અત્યાર સુધી લાભાર્થીઓને પોતાના લાભ મેળવવા માટે રાજકોટ જવું પડતું ત્યારે મુશ્કેલીઓ પડતી અને હાલ મુશ્કેલી ન પડે અને આ લાભાર્થીઓને નજીકમાં સુવિધા મળી રહે અને તેમને મળતી સહાય અંગેના ફોર્મ અરજી નજીકના વિસ્તારમાં જ મળી રહે તે માટે ઉપલેટા ખાતે તેઓએ વિકલાંગતા પ્રમાણપત્ર સહેલાઇથી મળી રહે તેવા શુભ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે આ કેમ્પમાં સમાજ સુરક્ષા દ્વારા વિકલાંગો માટે એસટી પાસ અંગે ફોર્મ પણ ભરવામાં આવ્યા તેમજ વિકલાંગ સાધન સહાય અંગેના પણ આ સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને ઉપલેટા તેમજ આસપાસના તાલુકા વિસ્તારના લોકોને નજીકમાં જ તમામ સગવડ મળી રહે તેવા પ્રયત્ન સાથે શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને અને લાભાર્થીઓને પોતાના તરફથી થઈ શકે તેટલી મદદ અને સહાય આપવા માટેના આ તકે પુરા પ્રયત્ન કરવા માટે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું.