કોરોના મહામારી સામેના જંગમાં ભારતીય પૌરાણિક ચિકીત્સા પદ્ધતિ આયુર્વેદે રંગ રાખ્યો છે ત્યારે WHO એ ભારતમાં ‘સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જામનગરના આયુર્વેદ સંસ્થાનને વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રીય દરજજો આપવા સાથે વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યુ હતું તેવા સમયે વિશ્વ આરોગ્ય સંગઠને જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ દર્શાવ્યો હતો કે જેમ ભારત ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ બન્યુ છે તેમ WHO આંતરરાષ્ટ્રીય આરોગ્યલક્ષી કામગીરીનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં જ WHO ના વડા ટેડ્રોસએ વિડીયો મેસેજથી ભારતમાં પરંપરાગત ઔષધી સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ આજે ધન્વંતરી જયંતી દિવસે ગુજરાતને આર્યુર્વેદ ઉપચાર, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રને રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરતી ભેટ આપી હતી તેમણે ધન્વંતરી જયંતીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત આઇટીઆરએ સંસ્થાને "રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન " તરીકે જાહેર કરતા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિને ભારતનો વારસો ગણાવી કહ્યું હતું કે આયુર્વેદના સેવનમાં જ માનવજાતની ભલાઈ છે. કોવિડ - 19 મહામારીના સમયમાં ભારતનું આ પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદકર્તા સાબિત થઇ રહ્યું છે જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડી રહ્યું છે. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવા બદલ વડાપ્રધાન મોદીએ સંસ્થાના મહાનિર્દેશકશ્રી ટેડોર્સ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતુ કે ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી આયુર્વેદરૂપી બહુ મોટી વિરાસત છે. આ જ્ઞાન વધુ શાસ્ત્ર - પુસ્તકોમાં જ રહયું છે. આ જ્ઞાનને આધુનિક આવશ્યકતા મુજબ વિકસીત કરવું અતિ આવશ્યક છે અને તેથી જ 21 મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધરાયું છે. આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે અને ભારતમાં પૌરાણિક અને આધુનિક તબીબી જગતનો સમન્વય થઇ રહ્યો છે. દેશમાં કાર્યરત વેલનેસ સેન્ટર પૈકી સાડા બાર હજાર સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ પીએમ મોદીએ સ્વીકારતા કહ્યું હતું કે ભારતની નવી શિક્ષણનીતિમાં પણ આરોગ્ય ચિકિત્સાઓમાં આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતા ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી ચિકિત્સા સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભારત વિશ્વ માટે વેલનેસનું કેન્દ્ર બનશે. કોરોનાકાળમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વમાં પ્રભાવ વધ્યો છે. આયુર્વેદ દવાઓની નિકાસમાં વધારો થયો છે.