ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય શું છે વાંચો

ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો અને કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય શું છે વાંચો

ગુજરાત સરકારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના શિક્ષકો માટે નિર્ણય લીધો છે. હવેથી તમામ શિક્ષક અને કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપવામાં આવશે. જેનાથી નવી નિમણૂંક પામનારા શિક્ષકોને વર્ગ કે શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવી પડશે નહીં. આ નિર્ણયથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજીત 70,000 જેટલા શિક્ષક અને કર્મચારીઓને લાભ મળશે.
ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે પછી નવી નિમણૂક પામનાર કોઇપણ ગ્રાન્ટેડ માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષક કે કર્મચારીને વર્ગ કે શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન ઉપસ્થિત નહિ રહે. બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક - ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, CTET પરીક્ષા, લાયકાત, પગાર તેમજ કામગીરી એક સમાન હોય જેથી આ નિર્ણય કરાયો છે. અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોવાથી આવા શિક્ષકો સતત અસલામતી નીચે કામગીરી કરતા હોવાથી તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોઈ છે. આમ આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદ્રઢ બનશે. આ નિર્ણયના પરિણામે ખાલી પડતી જગ્યા ઉપર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલ અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે.


મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે શિક્ષકો અને કર્મચારીઓના હિતલક્ષી અનેકવિધ નિર્ણયો કર્યા છે. આ શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાને રાખીને રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીએ વધુ એક શિક્ષકોના હિત માટે આ નિર્ણય લીધો છે.