મોરબી : ત્રાજપર ચોકડી નજીક બે યુવાનો પર જીવલેણ હુમલો

મોરબીની ત્રાજપર ચોકડી નજીક રાત્રીના સુમારે બે યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેવતા એક યુવાનનું મોત થયું હતું જયારે અન્ય એકને ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સારવાર ખસેડ્યા બાદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ત્રાજપર ચોકડી નજીક આવેલ એસ્સાર પેટ્રોલ પંપ નજીક રાત્રીના સમયે માથાકૂટ થઇ હતી જે બનાવમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દેતા બે યુવાનો પૈકી અજીત ગોરધન પરમાર (ઉ.વ.૨૪) રહે વણકરવાસ મોરબી વાળાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તો તેના મિત્ર હુશેન ફકરૂદિન હોથી (ઉ.વ.૨૩) રહે લીલાપર રોડ મોરબી વાળાને ગંભીર ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જે બનાવ મામલે ફરિયાદી હુશેન ફકરૂદિન હોથીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી અને તેના મિત્રએ અજાણ્યા ઈસમને બાળકને હેરાન ના કરવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા અજાણ્યા ઇસમેં માર મારી તીક્ષ્ણ હથિયાર વડે ફરિયાદી હુશેન હોથી અને તેના મિત્ર અજીત પરમાર પર હુમલો કરી દીધો હતો અને ઘા ઝીકી દેતા અજીત પરમારનું ગંભીર ઈજાને પગલે મોત થયું હતું જયારે ફરિયાદી હુશેનભાઈને ઈજા થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયા હતા બી ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવ અંગે ડીવાયએસપી રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે હત્યા કરવાના ગુન્હામાં રમેશ ભરવાડ નામના આરોપીનું નામ ખુલ્યું હોય જેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે
યુવાનની હત્યા બાદ પરિવારજનો રોષે ભરાયા હતા અને આરોપી ના ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવાનું પોલીસને જણાવી દીધું હતું અને સોમવારે રાત્રીના હત્યાનો બનાવ બન્યો હોય છતાં મંગળવારે સાંજ સુધી મૃતદેહ સ્વીકાર્યો ના હતો અને સિવિલ હોસ્પીટલે પરિવારે હંગામો કર્યો હતો