સુરત : અમરોલીમાં બિલ્ડર પર બે અજાણ્યા ઈસમોએ કર્યો ચપ્પુ વડે હુમલો

અમરોલી મનિષા ગરનાળા નજીક કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને બન્ને કરીને નાસી ગયેલા બન્ને હુમલાખોરો અંગે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા એ.કે. રોડ સ્થિત શારદા વિહાર સોસાયટીમાં રહેતા કાળુભાઇ લક્ષ્મણ સાવલીયા અને તેઓનો ભાગીદાર ડભોલી ચાર રસ્તા ખાતે રહેતા નરેશ મનજીભાઇ ઇટાલીયા ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત મનિષા ગરનાળા નજીક દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઈટ પર ધરાવે છે. ગત રાત્રે 8 વાગ્યે બંને ભાગીદાર સાઈટની ઓફિસે હાજર હતા અને નરેશ ઈટાલીયા મોલની લાઇટીંગનું કામ ચાલુ હતું તે જોવા ઓફિસની બહાર ગયા હતા. કામ પુરૂ થઈ ગયું હોવાથી નરેશે કાળુભાઇને કામ જોવા માટે ફોન કરી ઓફિસની બહાર બોલાવ્યા હતા. બંને ભાગીદારો લાઇટીંગનું કામ જાયા બાદ નરેશભાઇ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઇ પોતાની બાઈક લઈ ઘરે જવા નીકળી રહ્ના હતા. ત્યારે મનીષા ગરનાળા તરફથી એક બાઈક ઉપર બે યુવાનો ઘસી આવ્યા હતા. જે પૈકી બાઈક પર પાછળ બેસેલા બુકાનીધારી યુવાને કાળુભાઈ પાસે ઘસી આવી ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી બાઇક પર બેસી ઉત્રાણ વીઆઈપી સર્કલ તરફ ભાગી ગયા હતા. બનાવની નરેશભાઇને જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઇને સારવાર માટે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે કાળુ સાવલીયાએ હુમલો કરનાર અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.