સુરત : યુવાનની હત્યા કરી લાશને ઝુંપડામાં દાટી દેવાઈ

નવાગામ ડિંડોલી ખાતે રહેતો અજય મોરે નામનો યુવાન પાંચ દિવસ અગાઉ ગુમ થયો હતો. જે મામલે તપાસ થતા તેનું અપહરણ કરાયુ હોવાની ચર્ચા વચ્ચે પોલીસે તપાસ કરી યુવાનની હત્યા કરી લાશને ઝુંપડામાં દાટી દેવાઈ હોય જે લાશને પોલીસે બહાર કાઢી હતી. તો મિત્રની પત્નિ સાથે જ યુવાનના અનૈતિક સંબંધ હોય જેમાં તેની હત્યા કરાઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
નવાગામ ડિંડોલી ખાતે આર.ડી. નગર કોમ્પલેક્ષમાં રહેતા અજય મોરે ડીજે ઓપરેટર હતો તે ગત 22મી માર્ચથીગુમ થયો હતો. અને બે દિવસ સુધી અજય મોરે ઘરે પરત ન આવતા પરિવારે 24મીએ ડિંડોલી પોલીસ મથકમાં અજયની ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે જે તે સમયે મીસીંગની નોંધ લઈ પરિવારના સભ્યો અને મિત્રોની મદદ લઈ અજયની શોધ શરૂ કરી હતી. દરમિયાન તે મળ્યો ન હતો. પરંતુ શનિવારે સવારે રેલ્વે પોલીસને અજયની કરપિણ હત્યા કરી તેની લાશને ઉધના યાર્ડ સ્થિત ભીમ નગર વસાહતમાં દાટી દેવાઈ હોવાની માહિતી મળી હતી. જેથી રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પોલીસે સ્થાનિક યુવકોની પુછપરછ કરતા તેઓએ અજયને માર મારી તેની લાશને ક્યાંક દફનાવી દીધી હતી. જેના પગલે રેલ્વે પોલીસે ઉધના પોલીસ તથા ડિંડોલી પોલીસને જાણ કરી હતી. બન્ને પોલીસના જવાનો પણ ભીમનગર વસાહતમાં દોડી ગયા હતા. રેલ્વે પોલીસે સ્થાનિક રહિશોની ઉંડી પુછપરછ હાથ ધરી હતી જેમાં ઝુંપડાની જમીનમાં અજયના મૃતદેહને દાટી દીધો હતો તે ઝુંપડાને પહેલા તો તોડી પાડવામાં આવ્યો હતો. અને બાદમાં તેને ચારેય તરફથી ખુલ્લુ કરી દઈ જેમાં શરૂઆતથી જ કારીગરોની મદદ લઈ જમીન ખોદવામાં આવી હતી. રેલ્વે પોલીસે અંદાજે ચાર થી પાંચ કલાકની ભારે મહેનત બાદ ગુમ અજયનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. રેલ્વે પોલીસના ડીવાયએસપી જાદવે જણાવ્યુ હતું કે અજય મોરેની લાશને શોધવા વધારે સમય લાગ્યો હતો. બાદમાં કામદારોની મદદ લઈ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. હત્યા કર્યા બાદ લાશને સળગાવી દીધી હોય જેને લઈ લાશના ટુકડા લઈ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડી હતી. રેલ્વે પોલીસે હાલ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુમાં રેલ્વે પોલીસે તથા ડિંડોલી પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા વિડીયોનો અભ્યાસ કરતા તેમાં મૃતક અજય મોરે અને તેનો મિત્ર સાગર સાથે જોવા મળ્યા હતા. તેના આધારે રેલ્વે પોલીસે સાગરની શોધખોળ શરૂ કરી છે. એવી પણ લોક ચર્ચા જોવા મળી હતી કે મૃતક અજય અપરિણીત હતો અને તેનું સાગરની પત્નિ સાથે અફેર ચાલતુ હોવાની પણ શક્યતા છે. સાગરે પત્નિના પ્રેમી અજયની હત્યા કરી દીધી હોવાની સંભાવનાઓ પણ છે. હાલ તો આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.