જામનગર : ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ ફળદુ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની દૂરંદર્શિતા અને ગુજરાતમાં કૃષિ ઉદ્યોગ અને સેવાના સમાન વિકાસના ત્રિવેણી સંગમના અભિગમને કારણે ગુજરાતનો આજે સર્વાંગી વિકાસ થયો છે. જન-જનની આવશ્યકતાઓને ધ્યાને લઇ અનેક યોજનાઓ થકી ગુજરાતીઓના જોમને સરકારનો સાથ મળ્યો અને આજે ગુજરાત વિકસિત ગુજરાત બન્યું છે. માત્ર ઉદ્યોગ તરફ દોટ નહીને, સેવા તરફ જ ધ્યાન નહીં જગતના તાતની જરૂરિયાતોને ધ્યાને લઇ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ ક્ષેત્રે પણ અનેક યોજનાઓને આકાર આપી ધરતીપુત્રોના પરિશ્રમ સાથે સરકારના સાથથી ગુજરાતના કૃષકોના સોનેરી સૂર્યના સ્વપ્ન પૂર્ણ કર્યા છે.આવા જ એક જામનગરના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જેન્તીભાઇ ફળદુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રુટની ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે.જસાપર ગામના જયંતીભાઈ ફળદુ રાજ્ય સરકારની આત્મા એજન્સી સાથે જોડાયેલા છે. સામાન્ય ખેતીથી કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે જ બાગાયત ખેતીમાં નવા પાકોના પ્રયોગ કરતા જેન્તીભાઈ ડ્રેગન ફ્રુટની ખેતી કરે છે. આ વિશે વધુ જણાવતાં જેન્તીભાઈ કહે છે કે, “બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ ત્રણ વર્ષ બાદ આવતા હોય છે જ્યારે ડ્રેગન ફ્રુટના પાકમાં એક વર્ષમાં જ ફળની આવક થાય છે. વળી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ ઝુકાવ હોવાથી અમે આ પાકમાં રાજ્ય સરકારની સહાયથી સેન્દ્રીય ખાતરનો અને ટપક સિંચાઇનો ઉપયોગ કરીએ છીએ.ડ્રેગન ફ્રુટની ખેતીમાં સંપૂર્ણ ચોમાસા દરમિયાન ચારથી પાંચ વખત ફળોનો ફાલ મળે છે. આ પાક થકી જયંતીભાઈ માત્ર એક જ સીઝનમાં અંદાજિત આવક ૩.૨૫ લાખ જેટલો નફો મેળવે છે. પ્રાયોગિક ધોરણે બે વર્ષ પહેલાં કરેલી આ શરૂઆતમાં રાજ્ય સરકારના સહકાર સાથે આજે બે વીઘાના વિસ્તારમાં માત્ર ડ્રેગન ફ્રુટની ખેતી કરવામાં આવે છે. તે સિવાયના ભાગોમાં પણ જેન્તીભાઈએ ટિશ્યૂકલ્ચર ખારેક વાવી છે તો સીતાફળની નવી જાતનું પણ હાલ પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. જેન્તીભાઈ પોતાના ફળોની ગુણવત્તાનો જાતે ખ્યાલ રાખે છે જેના થકી આજે તેઓ ઓર્ગેનિક લાઇસન્સ અને ફ્રુટ ક્વોલિટી લાઈસન્સ સાથે પોતાના ફાર્મ પરથી સીધું જ વેચાણ કરી ઘર આંગણે જ અઢળક કમાણી કરી રહ્યા છે. જેંન્તીભાઇને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સજીવ ખેતીમાં પ્રદાન બદલ સન્માનિત કરવામાં આવેલ છે.