Ankleshwer : પિરામણ ગામમાં અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઈ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમદ પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરાઈ હતી. અહેમદ પટેલની અંતિમવિધિમાં રાહુલ ગાંધી સાથે વિવિધ રાજ્યના મુખ્યમંત્રી, રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ, પ્રદેશ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
દિલ્હીની હોસ્પિટલમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું નિધન થતાં ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. જ્યાંથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. જ્યાં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની જનાજાની નમાઝ અદા કર્યાં બાદ તેમની દફનવિધિ કરાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ અહેમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કબ્રસ્તાનની બહાર હજારોની સંખ્યામાં લોકોનો જમાવડો થયો હતો. જોકે કબ્રસ્તાનમાં 50 લોકોને જવાની મંજૂરી હોવાથી લોકો અંતિમ દર્શન માટે અંદર જઈ શક્યા ન હોતા. અહેમદ પટેલની અંતિમ ઇચ્છા પ્રમાણે પિરામણ ગામના કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં તેમની દફનવિધિ કરાઈ હતી. છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા પણ અહેમદ પટેલની અંતિમવિધિમાં કબ્રસ્તાન ખાતે પહોંચ્યા હતા. તો ગુજરાતમાંથી શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવિડિયા, શક્તિસિંહ ગોહિલ અને જયંતિ બોસ્કી પણ અંતિમ વિધિમાં જોડાયા હતાં. આ ઉપરાંત કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડી.કે. શિવકુમાર પિરામણ, મધુસુદન મિસ્ત્રી અને કોંગ્રેસના નેતા મુકુલ વાસનિક સહિતના ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.