ભરૂચ : ઓવૈસીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા

અસાઉદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપી પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓવૈસી ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે ભરૂચમાં બીટીપી સાથે પહેલી સભા સંબોધી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા, સાથે જ પૂર્વ સાંસદ અહેમદ પટેલને યાદ કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ ગુજરાત ગાંધીનું છે, આ ગુજરાત છોટુ વસાવાનું છે. વંચિત સમાજને એક કરવા માટે ગુજરાત આવ્યો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ મામા-ભાણેજની પાર્ટી છે.
અમે એક વિકલ્પ લઇને આવ્યા છીએ AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, આજે અમે વિકલ્પ લઈને આવ્યા છે ત્યારે આદિવાસી ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બહેનોને અપીલ કરું છું કે તમે આ વિકલ્પ પસંદ કરો. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, લોકોને હક આપવાનો છે. આપ અમારા માટે દુઆ કરો. દિલ્હીમાં દેશના ખેડૂતોએ નરેન્દ્ર મોદીની નિવ હલાવી નાખી છે. જે લોકોને ચૂંટીને મોકલીએ છે એ બહેરા થઈ જાય છે.
વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું
ઓવૈસીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ કયા સૌનો સાથ સૌનો વિકાસ અને વિશ્વાસની વાત કરે છે. એ તો પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે. ગુજરાત ભારતનો હિસ્સો છે. હું ભારતનો નાગરિક છું માટે ગુજરાત આવ્યો છું. આ ગુજરાત મોદી અને અમિતશાહનું છે એ વિચાર ખોટો છે. આ ગુજરાત ગાંધીનું છે. આ ગુજરાત છોટુ વસાવાનું છે. હું ભલે જુબાનનો ગંદો છું પણ વંચિત સમાજને એક કરવા ગુજરાત આવ્યો છું.
અહેમદ પટેલને યાદ કર્યા
આ સભામાં અસદુદ્દીન ઓવૈસીએ જાહેર મંચ પરથી અહેમદ પટેલને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે અહેમદ પટેલ માટે દુઆ કરી છે, તેઓ સાથે મારા સારા સંબંધ હતા. તેમણે કોંગ્રેસ અને ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ- ભાજપ મામા ભાણેજની પાર્ટી છે. કોંગ્રેસના 12 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા, એ લોકો પહેલાથી જ ભાજપ સાથે સંપર્કમાં હતા. અમારી પાર્ટીનું એક માત્ર લક્ષ્ય છે કે પોલિટિકલ વેક્યુમને પૂર્ણ કરવો. છોટુ વસાવાનું એન્કાઉન્ટર કરવા ઓર્ડર નીકળેલા પણ લોકોએ સાથ ન છોડ્યો.